Surat Rain Street Injury: સુરતમાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે. મંગળવાર અને બુધવારે પડેલા પહેલા જ વરસાદે શહેરના રસ્તાઓની હાલત બગાડી નાખી છે. રસ્તામાં ભૂવા પડતાં સ્કૂલ વાન અને ટેન્કર ખાડામાં ખાબક્યા હતા. શહેરમાં ઓછામાં ઓછા છ રસ્તાઓ પર ખાડા અને ભુવા પડ્યા છે, જેના કારણે કેટલાક અકસ્માતો સર્જાયા હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી. આ છ રસ્તાઓનું છેલ્લા છ મહિનામાં જ રિ-કાર્પેટિંગ (નવીનીકરણ) કરવામાં આવ્યું હતું.
ફરિયાદોનો ભરાવો થતાં સુરત મહાનગરપાલિકા (SMC) એ આ છ રસ્તાઓ માટે ટેન્ડર મેળવનાર ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે.
મોટા વરાછામાં નવા બનેલા 400 મીટરના રસ્તા પર ત્રણ જગ્યાએ ભુવા પડ્યા હતા, જેમાં એક ટ્રક અને કાર ફસાઈ ગયા હતા. બુધવારે લિંબાયતમાં શાળાના બાળકોને લઈ જતી એક વાન ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેમાં કોઈને ઈજા થઈ ન હતી.
ગુરુવારે ડિંડોલીમાં રસ્તાના ધસી ગયેલા ભાગમાં એક પાણીનું ટેન્કર ફસાઈ ગયું હતું; જ્યારે ઉધનામાં એક ટ્રકના વ્હીલ ખાડામાં સરકી ગયા હતા. ડિંડોલીની ઘટનામાં રસ્તાની વચ્ચે જ ભુવો પડ્યો હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. અધિકારીઓને ત્યાંથી ટેન્કર હટાવવામાં થોડા કલાકો લાગ્યા હતા.
જે રસ્તાઓને નુકસાન થયું છે, ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવા ઉમેરાયેલા વિસ્તારો માટે પીવાના પાણીની સપ્લાય પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો । સુરત મહાનગરપાલિકાએ 5 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
SMC એ આ ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી
એસએમસીની હાઇડ્રોલિક વિંગે કથિત નબળી ગુણવત્તાના કામ બદલ કોન્ટ્રાક્ટરો હિન્દુસ્તાન ફેબ્રિકેશન (ઉધના ઝોન), એસવીઆર કન્સ્ટ્રક્શન કંપની (રાંદેર), પી. દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (સરથાણા), એ. વી. પટેલ (અઠવા) ને નોટિસ ફટકારી છે અને તેમને રસ્તાઓનું સમારકામ કરવા અથવા જો મહાનગરપાલિકા સમારકામ કરે તો તેનો ખર્ચ ભોગવવા નિર્દેશ આપ્યો છે.
એસએમસીના હાઇડ્રોલિક વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ. સી. વસાવાએ જણાવ્યું કે, નવા ઉમેરાયેલા વિસ્તારો માટે પીવાના પાણીની વિતરણ પાઇપલાઇન નાખવાની કામગીરી ઓક્ટોબર 2025માં શરૂ થઈ હતી અને આ વર્ષના જૂનના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ થઈ હતી.
શહેરના રસ્તાની બાજુમાં કુલ 83,293 મીટર લાંબી પાણીની વિતરણ લાઇન નાખવામાં આવી હતી અને વર્તમાન રસ્તાઓની નીચે ટ્રેન્ચ (ખાઈ) કરીને 11.99 કિમી લાંબી પાણીની વિતરણ લાઇન નાખવામાં આવી હતી. જે ભાગોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની લાઇન) અને પીવાના પાણીના નેટવર્ક માટે કરાયેલી કામગીરી ધસી પડી છે, ત્યાં ભુવા પડ્યા હોવાની ફરિયાદો અમને મળી છે અને અમે તેની નોંધ લીધી છે.
આ પણ વાંચો । ગુજરાતના 172 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યાં કેટલો નોંધાયો વરસાદ
બીજી તરફ, એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, અમને નાગરિકો તરફથી ભુવા પડવા અંગેની ફરિયાદો મળી હતી અને અમે ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે. આમાં થનારો ખર્ચ તેમણે ભોગવવો પડશે. નોટિસમાં અમે કોન્ટ્રાક્ટરોને સતર્ક રહેવા અને જો આવા ભુવા પડે તો તેના સમારકામ માટે મટીરીયલ સાથે તૈયાર રહેવા જણાવ્યું છે.
