Gujarat Modhera Solar Temple : ગુજરાત ગૌરવપૂર્ણ સામાજિક, સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેની મુલાકાત લેવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ભારતમાં 12 સૂર્યમંદિર છે, જેમાથી એક ગુજરાતના મોઢેરામાં આવેલું છે. મોઢેરા સૂર્યમંદિરને ભારતના સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. આ ભવ્ય મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે અને તેની અદ્ભુત કોતરણી, સ્થાપત્ય અને વૈજ્ઞાનિક રચનાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. લગભગ 1000 વર્ષ જૂના આ મંદિરને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ પણ કહેવામાં આવે છે.
મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, આ મંદિરનું નિર્માણ ઇ.સ. 1026-27 માં ચાલુક્ય અથવા સોલંકી રાજવંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ મંદિર તે સમયગાળાની ઉત્કૃષ્ઠ સ્થાપત્ય અને સૂર્ય ઉપાસનાની પરંપરાનું મુખ્ય કેન્દ્ર હતું. આ મંદિર પુષ્પવતી નદીના કિનારે આવેલું છે અને હાલમાં તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક છે.
મંદિરની વાસ્તુકલા તેની ખાસિયત
મોઢેરા સૂર્યમંદિરની સૌથી મોટી વિશેષતા તેની વૈજ્ઞાનિક રચના છે. આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, ઉગતા સૂર્યના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહ સુધી પહોંચે છે. આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ગર્ભગૃહ, સભા મંડપ અને સૂર્યકુંડ.
સૂર્યમંદિરની દિવાલો અને સ્તંભો પર દેવી-દેવતાઓ, અપ્સરાઓ, પ્રાણી-પક્ષીઓ અને પૌરાણિક કથાઓની ખૂબ જ સુંદર કોતરણી જોવા મળે છે. સૂર્યકુંડમાં બનેલા નાના મંદિરો તેની સુંદરતાને વધુ વિશેષ બનાવે છે.
અહીં પૂજા કેમ નથી થતી?
મોઢેરા સૂર્યમંદિરમાં હાલ કોઈ નિયમિત પૂજા નથી. તેને સંરક્ષિત ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આક્રમણો અને સમય સાથે મંદિરના મૂળ દેખાવને અસર થઈ હતી, ત્યારબાદ અહીં પૂજા બંધ કરવામાં આવી હતી.
મોઢેરા સૂર્યમંદિર કેવી રીતે પહોંચવું?
મોઢેરા ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવેલું છે. મોઢેરા રોડ માર્ગે ગુજરાતના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા છે, જે મંદિરથી લગભગ 25 કિલોમીટર દૂર છે. અમદાવાદ અને મહેસાણાથી ટેક્સી કાર અને બસ સરળતાથી ઉપલબ્ધ છે. તમને જણાવી દઇયે કે, સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા ભારતનું પ્રથમ સોલાર ગામ પણ છે.
આ પણ વાંચો | ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ એટલે હર્ષિલ વેલી; કુદરતી સુંદરતા, એડવેન્સર અને આરામ માણો, જાણો પ્રવાસ વિશે A to Z વિગત
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
ઓક્ટોબર અને માર્ચ વચ્ચેનો સમય મોઢેરાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતો મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ પણ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
