Dhirendra Shastri Controversy : કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી એ તાજેતરમાં નાગપુરમાં એક કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો. બાગેશ્વર બાબાની ટિપ્પણી પર રાજકારણીઓએ વાંધો ઉઠાવ્યો હતો. રિતેશ દેશમુખે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ચાલો જાણીયે સમગ્ર મામલો શું છે.
હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધ લડતા લડતા થાકી ગયા હતા. બાબાએ તેમના ભાષણમાં કહ્યું, “એક દિવસ મહારાજ તેમના ગુરુ રામદાસ સ્વામી પાસે ગયા અને તેમનો મુગટ તેમના ચરણોમાં મૂક્યો. શિવાજી મહારાજે કહ્યું કે મારે હવે લડવું નથી, હું ખૂબ થાકી ગયો છું. તમે આ રાજ્યનું ધ્યાન રાખો. ”
હવે બાબાના આ દાવાને ઇતિહાસ સાથે છેડછાડ માનવામાં આવી રહ્યો છે, કારણ કે શિવાજી મહારાજના અનુયાયીઓ કહે છે કે તેમણે ક્યારેય હાર માની નથી કે ન તો તેઓ ક્યારેય થાક્યા હતા. હવે અભિનેતા રિતેશ દેશમુખે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રિતેશ પોતે શિવાજી મહારાજના જીવન પર આધારિત એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે 1 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
રિતેશ દેશમુખે પોસ્ટ કર્યું
રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર મરાઠીમાં એક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે બે શબ્દોમાં કહ્યું હતું કે, “શિવાજી મહારાજના વારસાને નબળો પાડવાના નિરર્થક પ્રયાસોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ આવીને બકવાસ કરી શકશે નહીં. તેમને કોઇ સીમિત દાયરામાં બાંધવાના આવા નિરર્થક પ્રયાસો, સમયના ગર્ભમાં દફન થઇ જશે. ”
તેમણે વધુ ઉમેરતા કહ્યું કે, “પરંતુ જેમ સહ્યાદ્રીના પહાડો લાખો વર્ષોથી અડગ ઉભા છે, તેમ એક નામ આવનારા લાખો વર્ષો સુધી અમર રહેશે અને તે નામ છે પ્રતાપ પુરંદર, ક્ષત્રિય કુળનું ગૌરવ, સિંહાસનના સ્વામી, સમ્રાટોના સમ્રાટ – છત્રપતિ શિવાજી મહારાજ. ”
ધીરેન્દ્ર શાસ્ત્રીએ માફી માંગી
આ સમગ્ર વિવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ માફી માંગી હતી. કથાવાચકે કહ્યું કે, “ગઈકાલથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો મારું નિવેદન અલગ રીતે રજૂ કરી રહ્યા છે. અમને તેનાથી ખૂબ દુ:ખ થયું છે. આજે આ દેશમાં જે પણ જીવિત છે, જો તે હિન્દુત્વને સમર્પિત છે, તો તેનો સૌથી મોટો શ્રેય છત્રપતિ વીર શિવાજી મહારાજને જાય છે. અમે છત્રપતિ શિવાજીમાં પણ વિશ્વાસ કરીએ છીએ. જો આપણે અંદરોઅંદર ઝઘડો કરીશું તો બીજાને તક મળશે. જો કોઈને આનાથી દુ:ખ થયું છે, તો અમે દિલથી માફી માંગીએ છીએ. ”
