રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આરોગ્ય મંત્રી એ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 19 નમૂનાના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે, જે આજે સાંજ સુધીમાં આવી જશે.
ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોના દુઃખદ મૃત્યુ થયા છે, જે અંગે મંત્રીએ બેઠકમાં દુ:ખ વ્યક્ત કરીને હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય તે અંગે સઘન કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAની મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે, જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવે, જેથી બાળકની કિંમતી જિંદગી બચાવી શકાય.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2024 માં રાજ્યના જે 61 સ્થળો પરથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. જૂના આ 61 સ્થળોમાંથી એક પણ જગ્યાએ નવો કેસ રિપીટ થયો નથી. જે નવા વિસ્તારોમાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં પણ પ્રશાસન દ્વારા તુરંત જ ફોગિંગ, સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્યના નાનામાં નાના આરોગ્ય કેન્દ્ર સુધી દવાનો પૂરતો જથ્થો અને જરૂરી તબીબી પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.
