Final Up to date:
રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરોને બોલાવવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રીએ શહેરોના વિકાસ અને જનસુવિધાઓ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ગાંધીનગર: આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરોમાં વિકાસકાર્યોની ધીમી ગતિ અને વકરતી જનસુવિધાઓની ફરિયાદોને પગલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા શહેરી વિકાસ મંત્રીએ આઠ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોનો કડક ‘ઉધડો’ લીધો હતો. સરકાર તરફથી સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપવામાં આવ્યો હતો કે, હવે વહીવટી ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં, કામ કરો અથવા કારણ દર્શક નોટિસ માટે તૈયાર રહો.
ગાંધીનગર ખાતે યોજાયેલી અલગ-અલગ બેઠકોમાં રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરોને બોલાવવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રીએ શહેરોના વિકાસ અને જનસુવિધાઓ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સીધો સવાલ કર્યો હતો કે પૂરતું બજેટ, મંજૂરીઓ અને સંસાધનો હોવા છતાં વિકાસકામો સમયસર કેમ પૂર્ણ થતા નથી?
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ મંત્રીએ પણ કમિશનરો પાસેથી શહેરવાર “રિપોર્ટ કાર્ડ” માંગ્યું હતું. દરેક શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, પેન્ડિંગ પ્રોજેક્ટ્સ અને જનફરિયાદોની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, વહીવટી પ્રક્રિયાના નામે થતો વિલંબ હવે સહન કરવામાં આવશે નહીં. બેઠક દરમિયાન મુખ્યત્વે બે મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રથમ, શહેરોમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગની અવ્યવસ્થાને લઈ કમિશનરોને ખખડાવવામાં આવ્યા હતા. અનેક શહેરોમાં ફ્લાયઓવર અને રોડ પ્રોજેક્ટ્સ સમયમર્યાદા કરતા ઘણા મોડા ચાલતા હોવા બદલ કડક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ટ્રાફિક મેનેજમેન્ટમાં દેખાતી ઉદાસીનતા અંગે પણ મુખ્યમંત્રીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
બીજો મહત્વનો મુદ્દો ચોમાસા બાદ રસ્તાઓની મરામતનો રહ્યો હતો. હજુ પણ અનેક વિસ્તારોમાં ખાડાવાળા અને બિસ્માર રસ્તાઓને કારણે નાગરિકોને પડતી હાલાકી અંગે સરકાર ગંભીર બની છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો કે, તમામ શહેરોમાં રસ્તાઓની તાત્કાલિક મરામત કરી લોકોને રાહત આપવામાં આવે. બેઠકના અંતે નાયબ મુખ્યમંત્રીએ તમામ મ્યુનિસિપલ કમિશનરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, પેન્ડિંગ ફાઈલો અને વિકાસકાર્યોનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે. આગામી સમીક્ષા બેઠક સુધીમાં જો સંતોષકારક પ્રગતિ નહીં જોવા મળે, તો સીધી રીતે કારણ દર્શક નોટિસ અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે “શહેરીજનોની સુવિધા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. બજેટ અને સંસાધનો ઉપલબ્ધ હોવા છતાં જો કામો અટકેલા રહેશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કમિશનરની રહેશે.” નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર કોઈપણ પ્રકારનો શહેરી અસંતોષ અથવા ઇમેજ ડેમેજ સહન કરવા તૈયાર નથી. આ કારણે જ તમામ ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર બોલાવીને કડક સંદેશ આપવામાં આવ્યો છે.
Gandhinagar,Gujarat

