Final Up to date:
Sadak Suraksha Abhiyan: માર્ગ અકસ્માત પછીની પ્રથમ થોડી મિનિટો જીવન અને મરણ વચ્ચેનો ફરક નક્કી કરતી હોય છે. પરંતુ અનેક વખત સરકારની મહત્વપૂર્ણ સહાય યોજનાઓ હોવા છતાં યોગ્ય જાણકારીના અભાવે પીડિતો તેનો લાભ લઈ શકતા નથી. ગુજરાતમાં માર્ગ અકસ્માત બાદ પીડિતોને તાત્કાલિક સારવાર અને આર્થિક સહાય આપવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ શું છે?, કોને કેટલો લાભ મળે છે? અને કઈ પ્રક્રિયા ફરજિયાત છે? આવો જાણીએ.
રાજકોટ: ગુજરાતમાં માર્ગ અકસ્માત બાદ પીડિતોને સમયસર સહાય મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નિવૃત્ત CEO અને હાલ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એક્સપર્ટ મેમ્બર જે.વી. શાહે જણાવ્યું હતું કે, ઘણી વખત લોકોને સહાય તો હોય છે, પરંતુ તેની જાણકારી અને નિયમોની સમજ ન હોવાને કારણે લાભ મળતો નથી. તેથી માર્ગ અકસ્માત બાદ કઈ યોજના લાગુ પડે છે, કોણ અરજી કરી શકે છે અને કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે, તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે.
હિટ એન્ડ રન કમ્પનસેશન સ્કીમ ખાસ કરીને એવા કેસ માટે છે જેમાં અકસ્માત કરનાર વાહનચાલક ઘટના સ્થળેથી નાસી જાય અને વાહન ઓળખી શકાય નહીં. આ યોજના હેઠળ નિયમ મુજબ પોલીસ સ્ટેશનમાં અકસ્માતની નોંધ ફરજિયાત છે. ત્યારબાદ સંબંધિત મામલતદાર કચેરીમાં નિર્ધારિત ફોર્મ ભરવાનું રહે છે. આ અરજીમાં પોલીસ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ (મૃત્યુના કેસમાં), હોસ્પિટલના દસ્તાવેજો અને ઓળખના પુરાવા જરૂરી હોય છે. નિયમ અનુસાર જો અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને રૂપિયા 50 હજારની સહાય મળવાની જોગવાઈ છે. અરજી પરિવારના સભ્ય અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિ પોતે કરી શકે છે.

બીજી મહત્વની યોજના છે ગુજરાત રાજ્ય માર્ગ અકસ્માત સહાય યોજના. આ યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો અકસ્માત પછીના પ્રથમ 48 કલાકની સારવાર માટે મહત્તમ રૂપિયા 50 હજાર સુધીની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે. અહીં નિયમ એ છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવો જોઈએ અને સારવાર અકસ્માતને કારણે જ થઈ હોવી જોઈએ. હોસ્પિટલ દ્વારા જરૂરી દસ્તાવેજો અને બિલ સરકારને મોકલવામાં આવે છે. આ યોજનાના કારણે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાની સહાય પીડિતોને મળી રહી છે, જેનાથી તાત્કાલિક સારવારમાં વિલંબ થતો અટકે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર કેશલેસ સારવાર યોજના પણ અમલમાં મૂકી રહી છે. આ યોજના અંતર્ગત જો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સરકાર સાથે રજિસ્ટર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો શરૂઆતના 7 દિવસની સારવાર માટે રૂપિયા 1.50 લાખ સુધીની રકમ સરકાર દ્વારા સીધી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય નિયમ એ છે કે હોસ્પિટલ સરકાર દ્વારા માન્ય હોવી જોઈએ અને અકસ્માતની માહિતી સમયસર પોલીસને આપવામાં આવી હોવી જોઈએ. કેશલેસ યોજનાથી દર્દી કે તેના પરિવારને તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરવાની ચિંતા રહેતી નથી.

જે.વી. શાહે વધુમાં જણાવ્યું હતું કે, તમામ યોજનાઓ પીડિતોને આર્થિક રીતે મોટી રાહત આપે છે, પરંતુ સાથે સાથે એક મહત્વનો સંદેશ પણ આપે છે. અકસ્માત બાદની સહાય જેટલી જરૂરી છે, એટલી જ જરૂરી છે અકસ્માત પહેલાંની સાવચેતી. હેલ્મેટ, સીટબેલ્ટ, ગતિ મર્યાદા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માત્ર સરકારની સહાયની જરૂર ઘટશે નહીં, પરંતુ અનેક પરિવારોને દુઃખમાંથી બચાવી શકાય છે. ગુજરાતમાં માર્ગ સુરક્ષા માટે યોજનાઓ સાથે જ જનજાગૃતિ પણ એટલી જ આવશ્યક છે.
આ યોજનાઓ સિવાય પણ કેન્દ્ર સરકારની માર્ગ અકસ્માત પીડિત યોજના ગુજરાતમાં અમલમાં છે. આ યોજના અંતર્ગત કોઈપણ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નિયમ મુજબ અકસ્માત બાદ તરત જ જો ઘાયલ વ્યક્તિને નજીકની માન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવે, તો પ્રાથમિક અને જીવ બચાવતી સારવાર માટે નક્કી કરેલી મર્યાદામાં સરકાર દ્વારા ખર્ચ ભરપાઈ કરવામાં આવે છે. આ યોજનામાં પોલીસ ફરિયાદનો અભાવ સારવારમાં અવરોધ બનતો નથી, જેથી માનવજીવન બચાવવાનું પ્રથમ પ્રાધાન્ય રહે. સારવાર બાદ જરૂરી દસ્તાવેજો હોસ્પિટલ દ્વારા સત્તાવાળાઓને મોકલવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ગુજરાત જેવા મોટા માર્ગ નેટવર્ક ધરાવતા રાજ્યમાં ગોલ્ડન અવરના મહત્વને ઉજાગર કરે છે અને અકસ્માત બાદ તરત સારવાર મળે તે દિશામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Feb 06, 2026 10:29 AM IST

