Salman Khan Firing Case : સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ કરવાની મંજૂરી માંગી છે. તેણે મુંબઈની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં આ કેસમાં આત્મસમર્પણ કરવા માંગે છે.
અનમોલ બિશ્નોઈ, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઘણા હાઈપ્રોફાઈલ કેસોમાં અનમોલ બિશ્નોઈ મોસ્ટ વોન્ટેડ છે. જેમા બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગનો કેસ પણ સામેલ છે, જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે.
વિશેષ મકોકા કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અનમોલ બિશ્નોઈ કહ્યું હતું કે, તે સ્વેચ્છાએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા માંગે છે જેથી તે ચાલી રહેલી સુનાવણીનો સામનો કરી શકે અને ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થઈ શકે. તેનું કહેવું છે કે, તે હાલમાં એનઆઈએના અન્ય કેસમાં કાયદેસર કસ્ટડીમાં છે, તેથી તે કોર્ટના આદેશ વિના રૂબરૂ હાજર થઈ શકશે નહીં.
અરજીમાં તેણે કહ્યું હતું કે, આ કેસમાં તેના આત્મસમર્પણની ઔપચારિક નોંધણી અને વર્ચ્યુઅલ અથવા ફિઝિકલ રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કોર્ટ સમક્ષ તેની હાજરી જરૂરી હતી. આ માટે તેણે કોર્ટને વિનંતી કરી છે કે તિહાર જેલ માટે પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવે, જેથી તેને કોર્ટમાં રજૂ કરી શકાય.
અનમોલ બિશ્નોઈ એ પોતાની અરજીમાં કહ્યું કે, તેનાથી ફરિયાદીને કોઈ નુકસાન નહીં થાય. તેના બદલે, તે ટ્રાયલ અને કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવશે અને કાયદાના દુરુપયોગની શક્યતાઓને ઘટાડશે. ”
અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે અને તેની ગેરહાજરીમાં અત્યાર સુધીમાં ત્રણ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ, 2024 ની સવારે, બે બાઇક સવાર હુમલાખોરોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. બાદમાં તેની ઓળખ વિકી ગુપ્તા અને સાગર પાલ તરીકે થઈ હતી.
આ પણ વાંચો | અક્ષય કુમાર એક મહિનામાં 4 ફ્લેટ વેચી ₹ 7 કરોડનો નફો મેળવ્યો, જાણો કેટલા ધનવાન છે બોલીવુડના ખેલાડી
આ કેસમાં વિકી ગુપ્તા, સાગર પાલ, સોનુ કુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તો અન્ય એક આરોપી અનુજ કુમાર થાપને પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યા કરી હતી. લોરેન્સ બિશ્નોઈ પણ આ કેસમાં કથિત આરોપી છે.
