નવસારી શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. સરકાર તરફથી મંજૂર થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથેના સમાચાર ન છાપવા અને આરટીઆઈ અરજી બાબતે સાચવી લેવાના બદલામાં ₹51,000 ની લાંચ માગનારા એક પત્રકારને એ.સી.બી.ની ટીમે રકમના સ્વીકાર કરતા સ્થળ પર જ પકડી પાડ્યો છે.
આરટીઆઈ અને સમાચારના નામે કરી હતી લાંચની માગણી
મળતી વિગતો મુજબ, આ કામના ફરિયાદી (જાગૃત નાગરિક) પાસે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરતા સમાચાર ‘રૂદ્ર સંદેશ’ પ્રેસના પત્રકાર સતશંકર રામચરિત્ર મિશ્રા (મુન્નાભાઇ) એ છાપ્યા હતા. આ ઉપરાંત આ કામોના રેકોર્ડ તપાસવા માટે પત્રકારે આર.ટી.આઇ. એક્ટ હેઠળ અરજી પણ કરી હતી. ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ વધુ સમાચાર નહીં છાપવા અને સમગ્ર મામલે ‘સાચવી લેવાના’ અવેજ પેટે પત્રકાર સતશંકર મિશ્રાએ ₹51,000 ની લાંચ ની માગણી કરી હતી.
જોકે ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ત્વરિત જાગૃતિ દાખવીને એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં જઈને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એ.સી.બી. ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નવસારીના ગ્રીડ ચાર રસ્તા પાસે આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલ ખાતે આરોપી પત્રકાર સતશંકર મિશ્રા ઉર્ફે મુન્નાભાઇ ફરિયાદી પાસેથી ₹51,000 ની લાંચની રકમ માગીને સ્વીકારતા જ સ્થળ પરથી એ.સી.બી. ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
