GST Evasion Circumstances In Gujarat : ગુજરાતમાં વેપાર ધંધા ઉદ્યોગો માટે ઇંઝ ઓફ ડુઇંગની નીતિ તૈયાર કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ જીએસટી ચોરીના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં અધધધ ₹ 18,491 કરોડની જીએસટી ચોરીના કેસો નોંધાયો છે. આ આંકડાને જોતા કરવેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
3 વર્ષમાં ₹ 18,491 કરોડની GST ચોરી
ગુજરાતમાં જીએસટી ચોરીના કેસોમાં દર વર્ષે ચિંતાજનક દરે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 2023-24માં ₹ 2549 કરોડની જીએસટી ચોરીના 1796 કેસો નોંધાયા હતા. ત્યારબાદ જીએસટી ચોરીની રકમ અને કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે. વર્ષ 2024-25માં 3281 કેસોમાં ₹ 3310 કરોડની જીએસટી પકડાઇ હતી. જો કે ત્યાર પછીના વર્ષમાં જીએસટી ચોરીમાં ચાર ગણો વધારો થતા વહીવટીતંત્ર ચોંકી ગયું છે. વર્ષ 2025-26માં 12,511 કેસોમાં અધધધ ₹ 12,632 કરોડની જીએસટી ચોરી પકડાઇ હતી. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ₹ 18,491 કરોડની જીએસટી ચોરી પકડાઇ છે.
કરવેરા વિભાગની કામગીરી સામે સવાલ
જીએસટી ચોરીના કેસો વધતા આવકવેરા વિભાગની કામગીરી સામે શંકા સેવાઇ રહી છે. કરવેરા વિભાગની કામગીરી, તપાસ અને પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. બીજી બાજુ કર ચોરીથી સરકારી તિજોરોને મોટો ફટકો પડ્યો છે. કરવેરાની આવક ઘટવાની સીધી અસર સરકારની વિકાસ અને સામાજીક કલ્યાણકારી યોજનાઓ માટે ઓછી જોગવાઇમાં પરિણમે છે.
ગુજરાતમાં 11150 લઘુ ઉદ્યોગો બંધ
MSME હબ ગણાતા ગુજરાતમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 11,150 લઘુઉદ્યોગો બંધ થયા છે. આ ઉદ્યોગો બંધ થવાથી હજારો પરિવારોની રોજીરોટી છિનવાઇ ગઇ છે, હજારો લોકો બેરોજગાર થયા છે.
વાઇબ્રન્ટ ગુજરાત અને ઇંઝ ઓફ ડુઇંગની ગુલબાંગો વચ્ચે ગુજરાતમાં વેપાર ધંધા અને રોજગારની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોવાના આંકડા સામે આવી રહ્યા છે. બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનના તાયફા વચ્ચે ગુજરાતના નાના ઉદ્યોગો ઓક્સિજન પર છે. મોટા ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ પાથરી સ્વાગત કરતી ગુજરાતની સંવેદનશીલ સરકારે રાજ્યના નાના ઉદ્યોગો અને વેપારીઓની સમસ્યા દૂર કરવા યોગ્ય પગલા લેવા જોઇએ.
