Gujarat Sawan 2026: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ આજે 13 ઓગસ્ટ, ગુરુવારથી શરૂ થયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં ભક્તોનો ભીડ જોવા મળી હતી અને ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
શ્રાવણના પ્રથમ દિવસ જ સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમડી પડ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ પણ કરે છે.
શ્રાવણ માસમાં શિવ પૂજાની સાથે સાથે સોમવાર અને આખો મહિનો વ્રત ઉપવાસ રાખવાનું અનેરું મહત્વ છે. શ્રાવણ પૂજા અને વ્રત કરવાથી શંકર ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તો શિવ ભક્તિમાં મગ્ન થઇ ગયા છે. શિવાલયોમાં શિવલિંગ પર દૂધ જળનો અભિષેક, બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે.
શ્રાવણ માસમાં રૂદ્રઅભિષેક, લધુરૂદ્ર અભિષેક અને મહારૂદ્ર અભિષેક કરવામાં આવે છે. આ દરમિયાન મંદિરોમાં પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારોની ઉજવણી
શ્રાવણ મહિનો શરૂ થવાની સાથે તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, બોળ ચોથ, નાગ પાંચમ, રાંધણછઠ્ઠ, શીતળા સાતમ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોકુળ નોમ જેવા પવિત્ર ધાર્મિક તહેવારો ઉજવવામાં આવશે. ગુજરાતમાં શ્રાવણ માસ 11 સપ્ટેમ્બર, 2026 શુક્રવારે સમાપ્ત થશે. ગુજરાત સહિત દેશભરમાં આ ધાર્મિક તહેવારોની ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોની ભીડ
શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં સ્થિત ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રથમ સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સોમનાથ મંદિરમાં મંગળા આરતીથી જ ભક્તિમય માહોલ છવાયો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાની વિશેષ આરતી, પૂજા વિધિ અને શણગાર કરવામાં આવશે.
સોમનાથ મંદિરના લાઇવ દર્શન
તેવી જ રીતે દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ દર્શન કરવા આવી રહ્યા છે. જો તમે શ્રાવણ મહિનામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરવાનું વિચારો છો તો અહીં સંપૂર્ણ ટ્રાવેલ ગાઇડ આપી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
