Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો આકર્ષણનું કેન્દ્ર હોય છે. શું તમે જાણો છો અમદાવાદમાં સૌથી પહેલી રથયાત્રા ક્યારે અને કોણ શરૂ કરી હતી? ભારતની સૌથી લાંબી રથયાત્રા ક્યાં યોજાય છે? ચાલો જાણીયે રસપ્રદ વિગત
અમદાવાદમાં જગન્નાથ મંદિરનું નિર્માણ ક્યારે થયું?
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર લગભગ 450 વર્ષ જુનું હોવાની માન્યતા છે. સાબરમતી નદી કિનારે ગાઢ જંગલ હતું ત્યારે મહંત હનુમાનદાસજીએ સૌ પ્રથમ ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિની સ્થાપના કરી હતી.
અમદાવાદમાં પહેલી રથયાત્રા ક્યારે યોજાઇ હતી?
અમદાવાદમાં રથયાત્રાનો ઇતિહાસ 150 વર્ષ જેટલો જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરના તત્કાલિન મહંત નરસિંહદાસજી મહારાજે વર્ષ 1878માં 2 જુલાઇના રોજ સૌપ્રથમ રથયાત્રા યોજી હતી. શરૂઆતમાં ભગવાનને લાકડાના નાના રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ભ્રમણ કરવામાં આવતું હતું. ત્યારબાદ રથયાત્રામાં બહુ ફેરફારો થયા અને હાલ 16 થી 18 કિમી લાંબા રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે. આ વખતે અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ રહી છે.
અમદાવાદ નહીં ગુજરાતમાં અહીં યોજાય છે ભારતની સૌથી લાંબી રથયાત્રા
પુરીની જગન્નાથ રથયાત્રા પૌરાણિક અને સૌથી જુની રથયાત્રા છે. પુરીની રથયાત્રાનો રૂટ 3 કિમી લાંબો છે, જેમા ત્રણેય ભગવાનના રથ જન્નનાથ મંદિર થી ગુંડિચા મંદિર સુધી લઇ જવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતની સૌથી લાંબી રથયાત્રા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાય છે. આ રથયાત્રા આશરે 26 થી 29 કિમી લાંબા રૂટ પરથી નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ગાંધીનગરના પંચદેવ મંદિરથી શરૂ થઇને વિવિધ સેક્ટરોમાં ફરે છે.
