Final Up to date:
દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે.
દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે જગત મંદિરમાં તારીખ 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી પર્વ ઉજવાશે. પરિણામે શ્રીજીના દર્શન ક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
દ્વારકા જગત મંદિરમાં તારીખ 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આથી તારીખ 19 ઓક્ટોબરના રોજ દર્શન નિત્ય મુજબ રહેશે. તારીખ 20/10/2025ને સોમવારે રૂપ ચતુર્દશી એટલે કે દિવાળી નિમિત્તે મંગળા આરતી 5:30 વાગ્યે કરવામાં આવ્યા બાદ સ્નાન દર્શન 6:30 થી 7:30 વાગ્યે યોજાશે. ઉત્થાપન દર્શન સાંજે 5:00 વાગ્યે અને શયન રાત્રે 9:45 વાગ્યે કરાશે. તેમજ હાટડી દર્શન 8:15 કલાકે રહેશે.

બીજી તરફ તારીખ 21 ને મંગળવારના રોજ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાશે, જેમાં મંગળા આરતી 6:30 વાગ્યે અને ગોવર્ધન પૂજા 11:00 વાગ્યે કરવામાં આવશે. તેમજ અનોરસ દર્શન બપોરે 1 વાગ્યે બંધ થશે. સાથે જ શયન રાત્રે 9:45 કલાકે કરવામાં આવશે. તા. 22 ના રોજ અન્નકૂટ દર્શન સાંજે 5 થી 7 કલાક સુધી રહેશે. જેમાં ભવ્ય થાળ ધરાયા બાદ બુધવારે નૂતન વર્ષ પર નિત્ય ક્રમ મુજબ દર્શન રહેશે. તા. 23 ના ભાઈબીજના મંગળા આરતી સવારે 7 વાગ્યે અને ત્યારબાદનો દર્શનક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. જેની દર્શનાર્થીઓએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ પર્વનું હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહત્વ છે અને નવા વર્ષની શરૂઆત ભક્તો દ્વારકાધીશના દર્શન કરી અને કરતા હોય છે એવા જ ભાઈબીજમાં ગોમતી સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ હોવાથી આ દિવસ દરમિયાન દ્વારકામાં માનવસાગર ઘુઘવશે. સામાન્ય દિવસોમાં પણ દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ હાલ સરકારી કર્મચારીઓને સપ્તાહનું વેકેશન હોવાથી દ્વારકાની ભીડમાં વિશેષ વધારો થશે જેને લઈને તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Dwarka,Jamnagar,Gujarat
October 15, 2025 9:19 AM IST

