Final Up to date:
અમેરિકી નૌસેનાએ ઈરાનના યુદ્ધપોત ‘IRIS ડેના’ને ટોર્પેડોથી ડૂબાડી દીધો, જેમાં 80થી વધુ લોકોના મોત થયા. શ્રીલંકાએ 32 લોકોને બચાવ્યા. આ હુમલો બીજા વિશ્વયુદ્ધ પછીનો પહેલો એવો હુમલો છે. હવે કહેવાઈ રહ્યું છે કે અમેરિકાએ ઈરાની નેવીને અગાઉથી ચેતવણી આપી હતી.
કોલંબો/તેહરાન : હિંદ મહાસાગરમાં આ અઠવાડિયે જે બન્યું એ સમગ્ર વિશ્વના નૌસેનાના ઇતિહાસમાં એક ભયાનક પાનું ઉમેરાયું છે. અમેરિકી નૌસેનાએ ઈરાનના યુદ્ધપોત ‘IRIS ડેના’ને ટોર્પેડોથી ઉડાવીને સમુદ્રમાં ડૂબાડી દીધો. આ ઘટનાએ 80થી વધુ પરિવારોને ઉજાડી દીધા અને સાથે જ એક એવી હકીકત બહાર આવી છે જે સાંભળીને કોઈ પણ હચમચી જાય.
ઈરાની મીડિયા અને રિપોર્ટ્સ મુજબ, જહાજ ડૂબતા પહેલા એક નાવિકે પોતાના પિતાને ફોન કર્યો હતો. આ છેલ્લી કોલથી ખુલ્યું કે અમેરિકી સેના દ્વારા હુમલો કરતા પહેલા બે વાર ચેતવણી આપવામાં આવી હતી કે ક્રૂ જહાજ છોડીને ભાગી જાય. પણ ઈરાની કમાન્ડરોની ‘જિદ’ને કારણે નિર્દોષ નાવિકો મોતને ભેટ્યા.
‘ઈરાન ઈન્ટરનેશનલ’ની રિપોર્ટ અનુસાર, IRIS ડેના પર ફરજ બજાવતા એક નાવિકે પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે અમેરિકી નૌસેનાએ તેમને ઘેરી લીધા છે. અમેરિકી દળોએ લાઉડસ્પીકર અને રેડિયો દ્વારા બે વાર સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જહાજ ખાલી કરી દો, કેમ કે તેને ટાર્ગેટ કરવામાં આવશે.
પણ જહાજ પર રહેલા કમાન્ડરે ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવાની મંજૂરી આપી નહોતી. પરિણામે થોડા જ સમય પછી અમેરિકી ટોર્પેડોએ જહાજને ઉડાવી દીધું. આ હુમલામાં ફોન કરનાર નાવિક સહિત 80થી વધુ લોકોના મોત થયા. શ્રીલંકાની નૌસેનાએ ડિસ્ટ્રેસ કોલ મળ્યા બાદ 32 લોકોને બચાવ્યા, પણ બાકીના લોકો સમુદ્રમાં જ ડૂબી ગયા.
18 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના વિશાખાપટ્ટણમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ફલોટ રિવ્યૂ દરમિયાન બંગાળની ખાડીમાં ઈરાનનું યુદ્ધપોત IRIS ડેના જોવા મળ્યું હતું. (ોજ ફોટો)
આ હુમલો બુધવારે શ્રીલંકાના ગાલે પોર્ટથી લગભગ 19 નોટિકલ માઈલ દૂર થયો હતો. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આ ઓપરેશનને ‘ક્વિટ ડેથ’ નામ આપ્યું છે. નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર એવું બન્યું છે કે અમેરિકાએ કોઈ દુશ્મન યુદ્ધપોતને ટોર્પેડોથી સીધો હુમલો કરીને ડૂબાડ્યું છે. આ યુદ્ધપોત ભારતના વિશાખાપટ્ટણમમાં યોજાયેલી ‘મિલન-2026’ નૌસેનાની કવાયતમાં ભાગ લઈને ઈરાન પરત ફરી રહ્યું હતું. ભારતથી પરત ફરતી વખતે જહાજ અમેરિકી રડાર પર આવ્યું અને તેને ટાર્ગેટ કરવામાં આવ્યું.
ભારત અને શ્રીલંકામાં ફસાયેલા ઈરાની જહાજો
- શ્રીલંકામાં રેસ્ક્યૂ: IRIS ડેના ડૂબ્યા પછીના બીજા દિવસે શ્રીલંકાએ બીજા ઈરાની યુદ્ધપોત ‘IRIS બુશહેર’માંથી 200થી વધુ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢ્યા.
- ભારતમાં ફસાયેલું જહાજ: બીજી તરફ, એક બીજું ઈરાની ફ્રિગેટ ‘IRIS લાવન’ હાલમાં ભારતના કોચી પોર્ટ પર ઊભું છે. યુદ્ધના કારણે ઈરાની જહાજો માટે સમુદ્રમાં મુસાફરી ખૂબ જ જોખમી બની ગઈ છે.
28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા સંયુક્ત હુમલાઓ પછીથી જ સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. તેહરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકી બેઝ અને ઇઝરાયલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કર્યા છે, જેના જવાબમાં હવે અમેરિકા ઈરાની નૌસેનાની શક્તિને સમુદ્રમાં જ નષ્ટ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. IRIS ડેના ડૂબવું ઈરાન માટે માત્ર મોટું સૈન્ય નુકસાન નથી, પણ માનવતાવાદી દુર્ઘટના પણ છે, જે ટાળી શકાય તેમ હતું જો ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવી હોત.
New Delhi,Delhi

