DGCA Guidelines For Airline Ticket Refund : વિમાન મુસાફરો માટે સારા સમાચાર છે. ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇન કંપનીઓ માટે ટિકિટ ભાડાના રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમ હેઠળ, મુસાફરો હવે ટિકિગ બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વિના એરલાઇન્સ ટિકિટ રદ અથવા બદલી શકે છે.
વ્યક્તિના નામમાં સુધારા માટે કોઈ વધારાનો ચાર્જ નહીં
DGCA એ નિયમોમાં સુધારો કરતી વખતે એમ પણ કહ્યું હતું કે જો પેસેન્જર બુકિંગના 24 કલાકની અંદર કોઈ પણ પ્રકારની ભૂલની જાણ કરે છે અને ટિકિટ સીધી એરલાઇન્સની વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવે છે, તો એરલાઇન્સે તે જ વ્યક્તિના નામે સુધારણા માટે કોઈ વધારાની ફી લેવી જોઈએ નહીં.
DGCA એ શું કહ્યું?
DGCA એ જણાવ્યું હતું કે, ટ્રાવેલ એજન્ટો / પોર્ટલ દ્વારા ટિકિટ ખરીદવાના કિસ્સામાં, રિફંડની જવાબદારી એરલાઇન કંપનીઓની રહેશે કારણ કે એજન્ટો તેમના નિયુક્ત પ્રતિનિધિ છે. એરલાઇન કંપનીઓએ ખાતરી કરવી આવશ્યક છે કે રિફંડ પ્રક્રિયા 14 કામકાજના દિવસોમાં પૂર્ણ થઈ જાય. આ ઉપરાંત મેડિકલ ઇમરજન્સીને કારણે મુસાફરોની ટિકિટ રદ કરવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
નિયમ ફેરફાર કેમ કરાયો?
સમયસર રિફંડ ન મળવાની મુસાફરોની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એર ટિકિટ પરત કરવા માટે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (સીએઆર)માં સુધારા કરવામાં આવ્યા છે.
ડિસેમ્બર, 2025માં ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરતી વખતે ટિકિટ રિફંડનો મુદ્દો પણ સામે આવ્યો હતો. તે સમયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇનને નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. સુધારેલા નિયમ 24 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યા હતા.
અગાઉ શું નિયમ હતો?
DGCA ના જુના નિયમો અનુસાર, એરલાઇન્સ એર ટિકિટ રદ કરવા અથવા ફેરફાર માટે તેમની નીતિઓના આધારે કેન્સલેશન ચાર્જ વસૂલતી હતી. ઉપરાંત, 48 કલાકમાં ફ્રી કેન્સલેશન / ફેરફાર જેવા કોઈ ફરજિયાત વિકલ્પ ન હતા.
