Final Up to date:
પીએમ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે ગયા છે. જ્યાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતના એ શૂરવીરોને યાદ કર્યા જેમણે તેમના દેશ માટે લડાઈ લડી હતી. જાણો તેમણે શું કહ્યું.
નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારતની મિત્રતા ઘણી જૂની છે. આ મિત્રતા માત્ર રક્ષા, વ્યાપાર અને કૂટનીતિ સુધી સીમિત નથી. પરંતુ આના મૂળિયાં ઇતિહાસના એ મૂળિયાં સાથે જોડાયેલા છે જ્યારે બંન્ને દેશ પોતાની ઓળખ અને આઝાદી માટે લડાઈ લડી રહ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફરી એકવાર બંન્ને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા અને ભારતના શૂરવીરોને નમન કર્યું છે.
પીએમ મોદી ઇઝરાયલના સંસદમાં ભાષણ આપતા પહેલા નેતન્યાહૂએ તેમનું સ્વાગત કર્યું અને પ્રથમ વિશ્વ યુદ્ધને યાદ કર્યું. જ્યારે ઇઝરાયલના હાઈફા શહેરને આઝાદ કરાવવા માટે ભારતીય સૈનિકો અને કમાન્ડરોએ બલિદાન આપ્યું હતું. નેતન્યાહૂએ આ મુદ્દાને ઘણા ભાવુક થઈને યાદ કર્યો હતો. સાથે જ તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે યહૂદીઓના વૈચારિક સંબંધોને દુનિયાની સામે રાખ્યા.
નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં ઇતિહાસના એ પાનાને યાદ કર્યા જ્યારે ઇઝરાયલ પર ઓટોમન સામ્રાજ્યનો કબજો હતો. નેતન્યાહૂએ કહ્યું કે “હું જાણું છું કે તમે આ વાત જાણો છો પરંતુ એ કહેવા માગું છું કે દરેક લોકો આ સત્યને જાણે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જ્યારે અમે ઓટોમનના કબજામાં હતા ત્યારે બ્રિટિશ સેનાએ આ દેશને આઝાદ કરાવવા અમારી મદદ કરી હતી. તે સેનામાં જાબોટિંસ્કી સહિત યહૂદી લડાકુઓ અને પહેલી યહૂદી બટાલિયન શામેલ હતી. તેની સાથે બહાદુર સૈનિકો અને ભારતીય કમાન્ડર પણ હતા જેમણે હાઈફાને આઝાદ કરાવવા માટે લડાઈમાં જંગ લડી હતી.”
નેતન્યાહૂએ ભારતીય સૈનિકોના તે સાહસને યાદ કર્યું જ્યારે યુદ્ધના મેદાનમાં એવો સમય આવ્યો હતો જ્યારે સેનાઓ પાછી ધકેલવામાં આવી રહી હતી. જોકે તે કપરા સમયમાં પાછા હટવાને બદલે ભારતીય કમાન્ડર અને સૈનિકોએ દુશ્મનો પર હુમલો કર્યો હતો. નેતન્યાહૂએ ભારે મન સાથે તે કિસ્સો યાદ કરતા કહ્યું કે “ભારતીય કમાન્ડરોએ આગળ વધીને હુમલો કર્યો અને અમારા માટે પોતાનો જીવ આપ્યો. તેમણે અમારા માટે મોટું બલિદાન આપ્યું જે વાતને અમે ક્યારેય નહીં ભૂલીએ.” ઇતિહાસના પાના જોઈએ તો 23 સપ્ટેમ્બર 1918ના રોજ ભારતીય સેના વિશેષ રૂપથી જોધપુર અને મૈસૂર લાન્સર્સે મશીનગન સાથેની ઓટોમન સેના પર માત્ર તલવારો અને ભાલા દ્વારા હુમલો કર્યો હતો અને હાઈફા શહેરને આઝાદ કરાવ્યું હતું. આ યાદમાં આજે પણ ભારત અને ઇઝરાયલ દર વર્ષે હાઈફા દિવસ મનાવે છે.
નેતન્યાહૂનું આ નિવેદન માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત રહ્યું નથી. તેમણે બંને દેશો વચ્ચેના બૌદ્ધિક અને સાંસ્કૃતિક સંબંધોની ગાઢતાને પણ દર્શાવી. તેમણે ખાસ કરીને ભારતના મહાન કવિ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કર્યો. નેતન્યાહૂએ કહ્યું, “ટાગોર… ગુરુદેવ ટાગોરે અમારા રાષ્ટ્રીય આંદોલન વિશે ખૂબ જ સકારાત્મક વાતો કરી હતી. તેમના વિચારો આપણા માટે એટલા મહત્વપૂર્ણ હતા કે તેમની કૃતિઓનો હિબ્રુ ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો. આ એનો પુરાવો છે કે ઇઝરાયલના નિર્માણ પહેલા જ, ભારતના મહાન વિચારો અને ઇઝરાયલના સ્થાપકો વચ્ચે એક ઊંડો વિચારાત્મક અને રાજનૈતિક સમન્વય હતો.”
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતીય સૈનિકો અને ટાગોરને યાદ કરવું માત્ર સામાન્ય રાજનૈતિક નિવેદન નથી. આ એવો સમય છે જ્યારે પશ્ચિમ એશિયા ભારે તણાવમાંથી પસાર થઈ રહ્યું છે અને ઇઝરાયલ અનેક મોરચાઓ પર લડી રહ્યું છે. આવા મુશ્કેલ સમયમાં પોતાના સૌથી વિશ્વસનીય સાથીઓને યાદ કરવું, ભારત અને ઇઝરાયલ વચ્ચેના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ઇઝરાયલીઓના દિલમાં ભારતીયો માટે જે સન્માન છે, તે માત્ર આજના રાજકીય સંબંધો માટે નથી, પણ એ તો એ લોહીથી સિંચાયા છે જે સો વર્ષ પહેલા હાઈફાની ધરતીમાં વહ્યું હતું.
New Delhi,Delhi
Feb 25, 2026 10:25 PM IST

