જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર ભૂસ્ખલનથી પરિસ્થિતિ ગંભીર, 11 લોકોના મોત, ઘણા લાપતા

જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પૂર ભૂસ્ખલનથી પરિસ્થિતિ ગંભીર, 11 લોકોના મોત, ઘણા લાપતા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


J&K Heavy Rain Floods Landslides In Poonch Rajouri : જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે રવિવારે વહેલી સવારે પૂર અને ભૂસ્ખલન થયું હતું. પૂર અને ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે. બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની સતત શોધખોળ કરી રહી છે અને અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે.

સુરનકોટ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા, કાટમાળ દૂર કરવા અને અસરગ્રસ્ત ગામોમાં પહોંચ પુનઃસ્થાપિત કરવા માટે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.

પીટીઆઈ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, નૂનાબંદી ગામમાં ઘર તૂટી પડવાથી 28 વર્ષીય નાઝિયા કૌસરનું મોત થયું છે. તેના પતિ મોહમ્મદ હાફિઝ અને બે થી 6 વર્ષ સુધીના ત્રણ બાળકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોઅર મુરામાં ભૂસ્ખલનને કારણે અન્ય એક મકાનને નુકસાન થયું હતું, જેના માલિક મોહમ્મદ લતીફ અને તેના પરિવારના પાંચ સભ્યો લાપતા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અન્ય એક ઘટનામાં મરહોતેમાં ઇરામ નામની એક સગીર છોકરી ગટરમાં ડુબી જવાતી મૃત્યુ પામી છે. જ્યારે એક અજાણી મહિલાનો મૃતદેહ ધુંડક લાથુંગ બ્રિજ નજીક એક નાળામાંથી મળી આવ્યો હતો. સાંગલા ગામમાં પૂરમાં એક મકાન તણાઈ ગયા બાદ એક જ પરિવારના ચાર સભ્યો ગુમ થયા હોવાના અહેવાલ છે.

રાજૌરીમાં પૂરથી ભારે તબાહી

રાજૌરી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આખી રાત સતત વરસાદને કારણે અચાનક પૂરને કારણે રાજૌરી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સેંકડો રહેવાસીઓને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ભારે વરસાદને કારણે રિયાસી જિલ્લામાં સ્થિત સલાલ ડેમના તમામ દરવાજા ખોલવા પડ્યા હતા, જેના કારણે ચેનાબ નદીનું જળસ્તર ઝડપથી વધ્યું હતું. અધિકારીઓએ નદીના કિનારે રહેતા રહેવાસીઓને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને નદીના કાંઠે દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માછલી પકડવા, સ્નાન કરવા, પશુઓને ચરાવવા અથવા નદી પાર કરવાનો પ્રયાસ ન કરવા વિનંતી કરી છે.

ઉપરાજ્યપાલે પરિસ્થિતિની સમીક્ષા કરી

રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પૂંછ અને રાજૌરી જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે નાગરિક વહીવટીતંત્ર, પોલીસ, સેના, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક સ્વયંસેવકોની બચાવ ટીમો ઘટના સ્થળે કામ કરી રહી છે, જ્યારે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કરતા સિંહાએ પૂંછના હવેલી અને સુરનકોટ વિસ્તારમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાયની ખાતરી આપી હતી. તેમણે રહેવાસીઓને શાંત રહેવા, વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી અને કહ્યું કે ઇમરજન્સી ટીમોને કોઈપણ કટોકટી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ તેમની મુલાકાત ટૂંકાવી દીધી

આ દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જાહેરાત કરી હતી કે તેઓ દિલ્હીમાં પોતાનું રોકાણ ટૂંકાવી રહ્યા છે અને જમીની પરિસ્થિતિનો વ્યક્તિગત તાગ મેળવવા માટે જમ્મુ પરત ફરી રહ્યા છે.

અબ્દુલ્લાએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી હવામાન ચેતવણી અને જમ્મુ વિભાગના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હું આજે બપોરે દિલ્હીથી જમ્મુ જઈશ જેથી જમીનની સ્થિતિનો વ્યક્તિગત રીતે તાગ મેળવી શકાય.” ”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોના જીવનની સલામતી એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે સંપત્તિના નુકસાન અને પૂરથી અસરગ્રસ્તોને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી.

અમિત શાહે ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે અસરગ્રસ્ત લોકોની સલામતી માટે શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે વરસાદને કારણે સર્જાયેલી આપત્તિઓને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી બાદ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પર અમરનાથ યાત્રા સ્થગિત કરી દીધી હતી. ઉધમપુરના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમરનાથ યાત્રાળુઓની વાહન અને ઉભો ટ્રક વચ્ચે અથડાયા બાદ ચાર અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *