Strait of Hormuz : ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને આ નિર્ણય લીધો છે. ઈરાનના સંયુક્ત સૈન્ય કમાન્ડે શનિવારે કહ્યું હતું કે હોર્મુઝ પર તેમનું નિયંત્રણ પહેલા જેવું થઇ ગયું છે. તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ઇરાની બંદરો પર યુએસ નાકાબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી તેઓ હોર્મુઝથી અવરજવર બ્લોક કરવાનું ચાલુ રાખશે.
અમેરિકા પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ
સરકારી ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં ઇરાની સૈન્યએ યુએસ પર ઇરાની પોર્ટ પરથી પસાર થતા જહાજોની નૌકાદળની નાકાબંધી ચાલુ રાખીને વચનનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઇરાન આવતા તમામ જહાજો માટે નેવિગેશનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતિ સમાન રહેશે. સેનાએ એમ પણ કહ્યું હતું કે હાલના સંજોગોમાં હોર્મુઝ કડક નિયંત્રણ હેઠળ રહેશે.
લેબેનોનમાં સીઝફાયર કરાર પર હસ્તાક્ષર થયા બાદ ઇરાને શુક્રવારે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝને ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાન સાથે વ્યાપક સમજૂતી ન થાય ત્યાં સુધી નૌકાદળ નાકાબંધી ચાલુ રહેશે.
સરકારી ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ કહ્યું હતું કે તે હોર્મુઝ પર કડક સંચાલન અને નિયંત્રણને ફરીથી શરૂ કરશે. તેમણે કહ્યું કે અમેરિકાએ નૌકાદળની નાકાબંધી ચાલુ રાખીને પોતાનું વચન તોડ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ પુરી રીતે ખોલવામાં આવ્યો, ઇરાનના વિદેશ મંત્રીએ કરી પૃષ્ટી
ટ્રમ્પે ધમકી આપી હતી
ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જ્યાં સુધી કાયમી કરાર ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવી શકાય નહીં. તે જ સમયે, તેમણે ચેતવણી આપી હતી કે તેઓ દબાણ વધારવા માટે સતત નાકાબંધી અને ઇરાની બંદરો પર ફરીથી બોમ્બમારો કરવા પર પણ વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે બની શકે કે હું સીઝફાયરને આગળ ના વધારું, પરંતુ નાકાબંધી ચાલુ રહેશે અને તે પણ હોઈ શકે છે કે દુર્ભાગ્યથી આપણે ફરીથી બોમ્બ ફેંકવાનું શરૂ કરવું પડશે.
હોર્મુઝ શું છે?
હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. તે વિશ્વના કુલ તેલ પુરવઠામાં 20 ટકા હિસ્સો ધરાવે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી તેને અસર થઈ છે અને તેને માત્ર થોડા જહાજો માટે જ ખુલ્લો હતો. જેના કારણે દુનિયાભરમાં તેલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગલ્ફ દેશો આ જળમાર્ગનો ઉપયોગ તેલની નિકાસ કરવા માટે કરે છે. ભારતની 40 ટકા તેલની આયાત આ જળમાર્ગ દ્વારા થાય છે.
