IPL 2026 : આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં રમાનાર એક મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના સ્થળો બદલવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિઝનમાં બંને મેચોના સ્થળોની અદલાબદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં 26મી એપ્રિલની મેચ હવે 21 મે ના રોજ રમાશે
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ 26મી એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે રમાવાની હતી. હવે આ મેચ અમદાવાદના બદલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ સિવાય ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની અન્ય એક મેચ 21 મે 2026ના રોજ સાંજે 7.30 વાગ્યે ચેન્નાઈમાં રમાવાની હતી. પરંતુ હવે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સે આ ટિકિટ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી
ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પુનઃનિર્ધારિત મેચ માટે ટિકિટ અંગેની મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત ટાઇટન્સ હંમેશા ચાહકોને પ્રાથમિકતા આપવાના પોતાના અભિગમને જાળવી રાખે છે અને ટીમને સપોર્ટ કરવા પહેલેથી ટિકિટ બુક કરાવનાર ચાહકોને સુવિધા આપવા પ્રતિબદ્ધ છે. દરેક નિર્ણયમાં ચાહકોને કેન્દ્રમાં રાખીને ફ્રેન્ચાઇઝી સૌ માટે સરળ અને અનુકૂળ અનુભવ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.
જેમણે BookMyShow દ્વારા ટિકિટ બુક કરી છે તેમને એસએમએસ, વોટ્સએપ મેસેજ અથવા ઈમેઇલ દ્વારા બે વિકલ્પ આપવામાં આવશે. નવી તારીખ માટે ટિકિટ જાળવી રાખવી અથવા સંપૂર્ણ રિફંડ પસંદ કરવું. રિફંડ પસંદ કરનાર ચાહકોને કામકાજના 8 થી 10 દિવસોમાં રકમ પરત આપવામાં આવશે.
આ બોલરના નામે છે આઈપીએલની ડેબ્યૂ મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ, જુઓ યાદી
પ્રતિસાદ આપવા માટેની અંતિમ તારીખ 20 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી છે. જો આ સમયમર્યાદામાં કોઈ પ્રતિસાદ પ્રાપ્ત નહીં થાય, તો ટિકિટ આપમેળે જાળવી રાખવામાં આવી હોવાનું માનવામાં આવશે.
ફિઝિકલ ટિકિટ માટે, રિફંડની પ્રોસેસ ફક્ત ટિકિટ સફળતાપૂર્વક પરત કર્યા બાદ જ કરવામાં આવશે. ફિઝિકલ ટિકિટ કેવી રીતે પરત કરવી તેની વિગતવાર સૂચનાઓ 21 એપ્રિલથી BookMyShow દ્વારા એસએમએસ, ઈમેઇલ અને વોટ્સએપ મારફતે શેર કરવામાં આવશે.
મેચના સ્થળો કેમ બદલવામાં આવ્યા?
અમદાવાદમાં 26મી એપ્રિલે મ્યુનિસિપલની ચૂંટણી યોજાવાની છે. આ સિવાય રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંયાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે. આ કારણોસર આ દિવસે અમદાવાદમાં રમાનાર મેચ ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવી હતી અને 21 મેના રોજ મેચ ચેન્નાઈથી મેચ અમદાવાદ શિફ્ટ કરવામાં આવી છે.
