Final Up to date:
રાજકોટ જેતપુરના મેવાસા ગામમાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી 12-14 વીઘાના ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ છે.
રાજકોટ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની અત્યંત દુઃખદ ઘટના જેતપુર તાલુકાના મેવાસા ગામમાંથી સામે આવી છે. 4 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે ખેડૂત પાક લેવાની તૈયારીમાં હતો, હાર્વેસ્ટર ખેતરમાં પહોંચવાની માત્ર અડધી કલાકની વાર હતી, ત્યારે જ અચાનક ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે 12થી 14 વીઘામાં લહેરાતો ઘઉંનો તૈયાર પાક ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે આ મામલે ખેડૂતો PGVCLની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે.
જેતપુરના મેવાસા ગામના ખેડૂત દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરના છેવાડે આવેલા PGVCLના ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું અને તણખા ખેતરમાં પડ્યા હતા. જેના કારણે આ આગ પ્રસરી હતી. જોતજોતામાં આગે એટલું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું કે 12થી 14 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ ગયા હતા.
આગ લાગી ત્યારે વાડીએ હાજર મજૂરો અને પરિવાજનોએ જીવના જોખમે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક લોકો સામાન્ય દાઝી પણ ગયા હતા. પરંતુ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં બધું જ સ્વાહા થઈ ગયું હતું. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ PGVCLની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે, આ ઘઉં કોઈ સામાન્ય પાક ન હતો, પરંતુ ‘બોમ્બે સુપર કંપની’ માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવતું ઊંચી ગુણવત્તાનું અને મોંઘું બિયારણ હતું. જેને ઉછેરવા દવા, ખાતર અને મજૂરીના દોઢ લાખના ખર્ચ થયો છે.
અન્નદાતા પહેલેથી જ મોંઘા બિયારણ અને ખાતરના ભાવથી પીસાયેલો છે, ત્યારે ઉપરથી આવી આફત ખેડૂતની કમર તોડી નાખે છે. ખેડૂતના દાવા મુજબ આશરે 4 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ તો પીડિત ખેડૂતો દ્વારા PGVCL અને સરકાર પાસે આ નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી આજીજી કરવામાં આવી રહી છે. જોવાનું એ રહે છે કે તંત્ર આ નિઃસહાય ખેડૂતોનો સાદ ક્યારે સાંભળે છે.
Mar 08, 2026 12:10 AM IST

