Jetalpur Swaminarayan Temple 200 Yr Utsav : જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદથી થોડે દૂર જેતલપુર ગામના એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ અવસરનગર રખાયું છે.
ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલાં 9 મંદિરમાંના પાંચમા મંદિરની સ્થાપના જેતલપુરમાં કરી હતી. આ મંદિરને ફાગણ વદ 8 ને 11 માર્ચના રોજ 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે 5 માર્ચ થી 11 માર્ચ 2026 સુધી ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવ “અવસર” યોજાશે
આ પ્રસંગે દેશ-વિદેશના લાખો ભક્તો આવશે. અવસર મહોત્સવમાં ભક્તિભાવની સાથે સાથે ગ્લો ગાર્ડન અને ફ્લાવર શોનું અનોખું પ્રદર્શન પણ જોવા મળશે.
કુલ 550 વીઘામાં કાર્યક્રમનું આયોજન
કુલ 550 વીઘા જમીનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 400 વીઘામાં મહોત્સવ ઊજવાશે, જ્યારે 150 વીઘામાં વિશાળ પાર્કિંગ હશે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપના કરેલાં નવેનવ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે, જેથી ભક્તોને એક જ સ્થળ પર બધાં જ મંદિરના દર્શનનો લાભ મળી શકશે.
આ પણ વાંચો – MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ
અવસરનગરમાં 25 વીઘામાં ધર્મશાળા ઊભી કરાઇ છે, જેમાં સ્વયંસેવકો અને બહારગામથી આવેલા યાત્રિકો રહી શકે એ માટેની વ્યવસ્થા છે. એકસાથે 10 હજાર લોકો રહી શકે એવી સુવિધા ઊભી કરાઇ રહી છે. 50 વીઘામાં 15 વિશાળ ડોમ તૈયાર કરાયા છે.
મોહન ભાગવત ઉપસ્થિત રહેશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત અને રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવત આ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
