કહેવાય છે કે ‘માવતર કમાવતર ન થાય’, અને આ વાતને સાર્થક કરી બતાવી છે મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતાએ. પોતાના વ્હાલસોયા પુત્રને મોતના મુખમાંથી બચાવવા માટે પિતાએ એવી કઠોર માનતા રાખી કે સાંભળીને પણ રૂંવાડા ઊભા થઈ જાય. હાથ-પગમાં સાંકળ બાંધી, ધોમધખતા તાપમાં ડામરના રોડ પર 1700 કિલોમીટર સુધી ગબડતા-ગબડતા વૈષ્ણોદેવી જઈ રહ્યા છે પિતા. મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા દેવીદાસ થોરાતનો પુત્ર ઉત્તરાયણના દિવસે વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી. ત્યારે આ પિતાએ મા વૈષ્ણોદેવીની બાધા રાખી કે જો દીકરો સાજો થઈ જશે, તો તેઓ પાંચ વાર ગબડતા-ગબડતા તેમના દ્વારે આવીશ. માતાજીએ જાણે ચમત્કાર કર્યો હોય તેમ પુત્ર સાજો થયો અને પિતા પોતાની ત્રીજી યાત્રા પૂર્ણ કરવા મહારાષ્ટ્રથી નીકળ્યા છે. ભરબપોરે જ્યારે ડામર પર ચાલવું મુશ્કેલ હોય, ત્યારે દેવીદાસભાઈ દિવસના 12 કિલોમીટર આ રીતે જ ગબડીને કાપે છે. હાથ-પગમાં લોખંડની સાંકળની બેડીઓ છે, જે સીધી માતાજીના ચરણોમાં જ ખુલશે. નવાઈની વાત એ છે કે આટલા સંઘર્ષ છતાં તેમને શરીરે કોઈ છાલા પડતા નથી. માર્ગમાં આવતા પાવાગઢ અને અંબાજીના દર્શન કરી તેઓ જમ્મુ તરફ આગળ વધશે. આજના સમયમાં જ્યારે કેટલાક સંતાનો માતા-પિતાને તરછોડે છે, ત્યારે પુત્ર માટે દેવીદાસભાઈની આ કઠોર તપશ્ચર્યા સમાજ માટે એક પ્રેરણા બની છે. માર્ગમાંથી પસાર થતા રાહદારીઓ પણ આ અજોડ શ્રદ્ધા જોઈ નતમસ્તક થઈ રહ્યા છે.
