Final Up to date:
પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો કે છેલ્લા 8 દિવસ જેટલા સમયમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે બે દીપડા આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજકોટ: જંગલનું ખૂંખાર પ્રાણી ગણાતો દીપડો હવે રાજકોટ જેવા મેટ્રો શહેર સુધી પહોંચી રહ્યો છે. રાજકોટથી માત્ર 8 કિલોમીટર 10 કિલોમીટર દૂર આવેલા મનહરપુર ગામમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અહીંયા રાત્રીના સમયે પશુપાલકો સીમ વિસ્તારમાં જતા ડરી રહ્યા છે. ખૂંખાર દીપડાના કારણે પશુપાલકોના પશુઓ સલામત નથી રહ્યા.
રાજકોટ શહેર નજીક આવેલા મનહરપુર 1 ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહીમામ છે. પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો કે છેલ્લા 8 દિવસ જેટલા સમયમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે બે દીપડા આવતા હોવાનો દાવો પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા દસ દિવસ જેટલા સમયથી દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. રાત્રિના સમયે જતા ડર અનુભવે છે. એક સાથે ચારથી પાંચ પશુપાલકો સાથે મળીને સીમ વિસ્તારમાં જતા હોય છે. માત્ર પશુપાલકો જ નહીં આ વિસ્તારના ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે.
રાત્રિના સમયે મજૂરો પણ ખેતરમાં રહેતા નથી હોતા. દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પીંજરું મૂકવામાં આવ્યું છે. પશુપાલકોએ કહ્યું હતું કે તેમના જીવ કરતા પણ તેમને તેમના પશુઓ વધુ વાલા હોય છે. આ પશુઓના કારણે જ તેમનું જીવન નિર્વાહ થતું હોય છે ત્યારે રાત્રિના સમયે પશુઓને બચાવવા પોતાના જીવના જોખમે સીમ વિસ્તારમાં જતા હોય છે. ક્યારેક તો દીપડા એટલો નજીક આવી જતો હોય છે કે પશુપાલકોને પણ ડર લાગતો હોય છે.
રાજકોટ શહેરમાં અગાઉ પણ દીપડાનો આતંક સામે આવી ચૂક્યો છે. અગાઉ શહેરના પરાપીપડીયા ગામ નજીક આવેલી એમ હોસ્પિટલની આસપાસ દીપડાએ દેખા દીધા હતા. રાજકોટ શહેરની આસપાસનો વિસ્તાર એ દીપડાનું કાયમી રહેઠાણ બની ગયું હોય તેમ આ વિસ્તારમાં દીપડો અવારનવાર દેખાતો હોય છે. વન વિભાગ દ્વારા પણ દીપડાને ઝડપી પાડવા માટે અલગ અલગ વિસ્તારોમાં પિંજરા મુકવામાં આવતા હોય છે. ત્યારે હવે મનહરપુર નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક તેમના વિસ્તારમાં રખડતા દીપડાને ઝડપી પાડવામાં આવે.

