અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવા અને દાનમાં ગેરરીતિના તાજેતરના આક્ષેપોને કારણે તેના સંચાલન તરફ ધ્યાન દોરાયું છે. બ્રિટિશ કાળથી જ સરકાર વિવિધ રીતે હિન્દુ મંદિરોના સંચાલનમાં હિસ્સેદાર રહી છે. રામ મંદિરમાં કથિત નાણાકીય ગેરરીતિના વિવાદને કારણે આ વ્યવસ્થા બદલવાની માંગ ફરી વેગ પકડી રહી છે.
સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિવાદના ચુકાદા બાદ કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી ફેબ્રુઆરી 5, 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ ટ્રસ્ટને માત્ર રોકડ દાન પેટે અંદાજે 3,500 કરોડ રુપિયા મળ્યા છે.
ગેરરીતિના અહેવાલો વચ્ચે, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ટ્રસ્ટની કામગીરી સંભાળવા માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક કરવાની હિમાયત કરી છે. બીજી તરફ, રામ મંદિર આંદોલનની મુખ્ય પ્રેરક શક્તિ રહેલી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દેશભરના મંદિરોને સરકારી નિયંત્રણમાંથી ‘મુક્ત’ કરવાની પોતાની જૂની માંગ દોહરાવી છે.
મંદિરો અને તેમની સંપત્તિ
ભારતમાં હિન્દુ મંદિરોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા નથી, પરંતુ એક અંદાજ મુજબ આ સંખ્યા આશરે 10 લાખની આસપાસ છે. તેમાંથી મોટાભાગના નાના ગ્રામીણ મંદિરો અથવા સામાન્ય બાંધકામો છે જે સ્થાનિક સમુદાયો, પરિવારો અથવા વંશપરંપરાગત પૂજારીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તેઓ જ ચઢાવો કે દાન સ્વીકારે છે.
જોકે, મોટી સંખ્યામાં એવા મોટા મંદિરો પણ છે જે વિશાળ જંગમ અને સ્થાવર સંપત્તિ ધરાવે છે અને શ્રદ્ધાળુઓ તરફથી મોટું દાન મેળવે છે. આ મંદિરો સમગ્ર દેશમાં ફેલાયેલા છે, ખાસ કરીને અયોધ્યા, વારાણસી (કાશી), હરિદ્વાર, સોમનાથ અને દક્ષિણના રાજ્યોમાં તેમની સંખ્યા ઘણી વધારે છે.
આવા મંદિરોનું સંચાલન મોટાભાગે ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા થાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 80G હેઠળ નોંધાયેલા ટ્રસ્ટોને મળતા દાન પર ક્યારેક ટેક્સમાંથી મુક્તિ મળે છે, પરંતુ રોકડ ચઢાવા અને વસ્તુના સ્વરૂપમાં મળતા મોટાભાગના મોટા દાનનો હિસાબ હોતો નથી.
આ પણ વાંચો । રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું નિવેદન, કહ્યું – ભક્તો દ્વારા આપવામાં આવેલા ઘરેણાં, ચાંદીની ઇંટો સુરક્ષિત
મંદિર સંચાલનની ત્રણ મુખ્ય પરંપરાઓ
મંદિરોનું સંચાલન વિવિધ પદ્ધતિઓ હેઠળ થાય છે, જેમાં સરકારી હસ્તક્ષેપની વધતી-ઘટતી માત્રા સાથે મુખ્યત્વે ત્રણ પરંપરાગત મોડલ જોવા મળે છે:
1. પારિવારિક સંચાલન (પંડા અને પૂજારી પરિવારો)
મોટાભાગના મંદિરોનું સંચાલન ચોક્કસ પરિવારો અથવા વંશપરંપરાગત પૂજારીઓ (પંડા અથવા પૂજારી) દ્વારા થાય છે. અહીં, ચઢાવો, દાન અને ધાર્મિક વિધિઓની જવાબદારી પરંપરાગત રીતે સંચાલન કરતા પરિવારની હોય છે. જ્યારે એકથી વધુ પરિવારો સંકળાયેલા હોય, ત્યારે સંચાલન નિર્ધારિત સમયપત્રક મુજબ બદલાય છે. વ્યસ્ત મંદિરોમાં આ બદલાવ દૈનિક કે કલાકના આધારે, અથવા અન્ય સ્થળોએ લાંબા સમયગાળા માટે હોઈ શકે છે.
આ પ્રકારના રોટેશન પદ્ધતિનું જાણીતું ઉદાહરણ કર્ણાટકનું ઉડુપી શ્રી કૃષ્ણ મઠ છે. તેનું સંચાલન 13મી સદીના સંત માધ્વાચાર્ય દ્વારા સ્થાપિત અષ્ટ મઠો દ્વારા થાય છે. પ્રત્યેક મઠ બે વર્ષ માટે મંદિરનું પ્રશાસન અને દૈનિક ધાર્મિક વિધિઓ સંભાળે છે; આથી, એક મઠનો આગામી વારો 16 વર્ષ પછી જ આવે છે.
2. મહંત પ્રથા
આ પ્રથામાં એક જ આધ્યાત્મિક વડા (મહંત, મઠાધીશ અથવા પીઠાધીશ્વર) સર્વોચ્ચ સત્તા ધરાવે છે. મહંત મંદિરની અસ્કયામતો, સંપત્તિ, ચઢાવા અને વહીવટ પર નિયંત્રણ રાખે છે અને સામાન્ય રીતે પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરે છે.
હાલનું અગ્રણી ઉદાહરણ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલું ગોરખનાથ મઠ છે, જેના હાલમાં વડા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. તેમની નિમણૂક દિવંગત મહંત અવેદ્યનાથ દ્વારા ઉત્તરાધિકારી તરીકે કરવામાં આવી હતી. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ઐતિહાસિક શંકરાચાર્ય મઠોમાં પણ આવી જ ઉત્તરાધિકારી આધારિત વ્યવસ્થા કાર્યરત છે.
3. અખાડા (પંચાયતી) પ્રથા
અખાડા એ સાધુઓ અને સંતોની સ્વાયત્ત સંસ્થાઓ છે. મહાકુંભ દરમિયાન તેઓ ખાસ ચર્ચામાં રહે છે, જ્યાં તેમના દરજ્જાના આધારે શાહી સ્નાન માટે તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ અખાડા સામૂહિક અથવા પંચાયતી સંસ્થાઓ તરીકે કામ કરે છે, જેમના વડા ચૂંટણી અથવા સર્વસંમતિથી નક્કી થાય છે અને તેને “પંચાયતી અખાડા” પણ કહેવામાં આવે છે.
વર્તમાન સમયમાં 13 મુખ્ય અખાડાઓ મુખ્યત્વે ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે: સાત શૈવ (દશનામી), ત્રણ વૈષ્ણવ (બૈરાગી), અને ત્રણ ઉદાસીન અખાડા (જે શૈવ કે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા નથી). આ સંસ્થાઓ ઘણા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરે છે. તેઓ પોતાના સંપ્રદાયની પરંપરાઓ અનુસાર પૂજારીઓની નિમણૂક કરે છે, ધાર્મિક વિધિઓની દેખરેખ રાખે છે અને દાન તથા સંપત્તિનું નિયંત્રણ કરે છે.
હિન્દુ મંદિરોના સંચાલનમાં સરકારની ભૂમિકા
ઇતિહાસ પર નજર કરીએ તો, બ્રિટિશરોએ 1863માં રિલીજીયસ એન્ડોમેન્ટ્સ એક્ટ રજૂ કર્યો હતો, જેણે મંદિરોનું નિયંત્રણ આ કાયદા હેઠળ રચાયેલી સમિતિઓને સોંપ્યું હતું. જોકે, સરકારે અન્ય કાયદાકીય જોગવાઈઓ દ્વારા પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો હતો.
વર્ષ 1925માં, મદ્રાસ હિન્દુ રિલીજીયસ એન્ડોમેન્ટ્સ એક્ટે પ્રાંતીય સરકારોને ધાર્મિક સખાવતો અંગે કાયદો બનાવવાની સત્તા આપી. તેની સત્તાઓ ધીમે ધીમે વધતી ગઈ, જેમાં દેખરેખ અને મંદિરના સંચાલનને પોતાના હસ્તક લેવાની સત્તાનો પણ સમાવેશ થયો. આઝાદી પછી, આ 1925નો કાયદો વિવિધ રાજ્યો માટે મંદિરોનો વહીવટ ચલાવવા માટે કાયદા બનાવવા માટેનો પાયો બન્યો. રાજ્યોમાં આ હેતુ માટે વિશિષ્ટ વિભાગો અને મંત્રીઓ હોય છે.
ભારતીય બંધારણની કલમ 25(2) રાજ્યને ધાર્મિક પ્રથા સાથે સંકળાયેલી “કોઈપણ આર્થિક, નાણાકીય, રાજકીય અથવા અન્ય બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ” ને નિયંત્રિત કે પ્રતિબંધિત કરવાની અને સામાજિક કલ્યાણ તથા સુધારા માટે કાયદા બનાવવાની સત્તા આપે છે.
આ જોગવાઈ મંદિર એન્ડોમેન્ટ્સનું સંચાલન કરતા રાજ્યના કાયદાઓનો બંધારણીય આધાર છે. બીજી તરફ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયો તેમના ધાર્મિક સ્થળો અને સંસ્થાઓનું સંચાલન સમુદાય દ્વારા સંચાલિત બોર્ડ અથવા ટ્રસ્ટો દ્વારા કરે છે.
સરકાર દ્વારા નિયુક્ત સંસ્થાઓ મંદિરના સંચાલનમાં ભૂમિકા ભજવવા ઉપરાંત, પૂજારીઓને પગાર ચૂકવે છે અને ચઢાવો તથા દાન નિર્ધારિત ખાતાઓમાં જમા થાય તે સુનિશ્ચિત કરે છે. રાજ્યો મોટા મંદિરોના ચઢાવા અને દાનમાંથી થતી આવકના એક ભાગનો ઉપયોગ તે મંદિરો તેમજ નાના મંદિરોના વહીવટ અને જાળવણી માટે તથા બિન-મંદિર કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પણ કરે છે.
હિન્દુ ધર્મ અને ચેરિટેબલ કાયદો
તમિલનાડુ: તમિલનાડુ હિન્દુ રિલીજીયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ, 1959 હેઠળ સ્થાપિત હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ, 40,000 થી વધુ મંદિરોનો વહીવટ સંભાળે છે.
આંધ્રપ્રદેશ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક સ્વતંત્ર ટ્રસ્ટ છે જે શ્રી વેંકટેશ્વર મંદિર અને તેની સાથે જોડાયેલા કેટલાક મંદિરોનું સંચાલન કરે છે. સરકાર તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરે છે.
કેરળ: વર્ષ 1950માં રચાયેલ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ, સબરીમાલા મંદિર સહિત એક હજારથી વધુ મંદિરોનું સંચાલન કરે છે.
ઉત્તર પ્રદેશ: જાન્યુઆરી 1983માં મંદિરમાં સોનાની અર્ઘાની ચોરી સહિતની એક મોટી ઘટના બાદ, તત્કાલીન શ્રીપતિ મિશ્રાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા યુપી શ્રી કાશી વિશ્વનાથ મંદિર અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. તેના સંચાલનની જવાબદારી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા નિયુક્ત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે.
જમ્મુ અને કાશ્મીર: રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સંસ્થા વૈષ્ણોદેવી મંદિરનું સંચાલન કરે છે.
અયોધ્યા રામ મંદિર દાન વિવાદે મંદિર સંચાલન અને સરકારની ભૂમિકાને લઇને ઘણા સવાલ ખડા કર્યા છે. લોકોની શ્રધ્ધા અખંડ રહે એ જરુરી છે.
આ પણ વાંચો । અયોધ્યા રામ મંદિર દાન વિવાદથી VHP ને ફટકો?
