Strait of Hormuz : ઈરાને શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને ફગાવી દીધો છે જેમાં તેમણે હોમુર્ઝ સ્ટ્રેટ નજીક ભારતીય વ્યાપારી જહાજો પર થયેલા હુમલા માટે ઈરાનને દોષી ઠેરવ્યું હતું. ઇરાને આ આરોપને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા અમેરિકા પર ત્રણ ભારતીય નાગરિકોના જાનથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતમાં ઇરાની દૂતાવાસે એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને ટ્રમ્પના આક્ષેપોને ફગાવી દીધા હતા.
ઈરાને શું કહ્યું?
ઇરાની દૂતાવાસે પોસ્ટમાં કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ઈરાન વિરુદ્ધ હોમુર્ઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજને લઈને લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. અમેરિકાએ એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 3 ભારતીય જહાજો પર હુમલો કર્યો હતો અને નિર્દોષ ભારતીય ખલાસીઓને મારી નાખ્યા હતા તે ક્રૂર હકીકતથી લોકોનું ધ્યાન હટાવવાનો આ પ્રયાસ છે. તે ખૂબ જ નિંદનીય છે.
ટ્રમ્પે ઈરાનને દોષી ઠેરવ્યા હતા
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન પર હોમુર્ઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજોને ડ્રોનથી નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ સાઇટ પર લખ્યું હતું કે હોમુર્ઝ સ્ટ્રેટથી નીકળતા ભારતીય જહાજો પર ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલાને ગઈકાલે રાત્રે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, તે બિલકુલ સ્વીકાર્ય નથી. તેઓએ તેમની હરકતોને શક્ય તેટલી વહેલી તકે સુધારવી પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભારતીય જહાજો પર ડ્રોન હુમલો અસ્વીકાર્ય, હોર્મુઝથી ઇરાન કરી રહ્યું છે ડ્રોન એટેક
ઈરાનના વિદેશ મંત્રાલયે પણ તેની ટિકા કરી
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ ભારતીય ક્રૂ જહાજોને નિશાન બનાવવા બદલ યુએસની નિંદા કરી હતી. તેમણે X પર લખ્યું કે ભારતીય વ્યાપારી જહાજો પર યુએસ દ્વારા કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા. આ અમેરિકાની સશસ્ત્ર લૂંટ અને રાજ્ય સ્તરની ચાંચિયાગીરીની નિરંતર નીતિનો આ સ્પષ્ટ પુરાવો છે. ઇસ્માઇલ બાકાઈએ મૃત નાવિકોના પરિવારો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
