Gujarat unlawful Bangladeshi Immigrants: થોડા દિવસ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમણે ગાંધીનગરના સોનીપુરમાં સભા યોજી હતી. આ સભામાં તેમણે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.
ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને શોધી કાડા માટે સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન અંતર્ગત અમદાવાદ શહેરમાં મંગળવારે 2 જૂન 2026ના રોજ મોડી રાત્રે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
પોલીસ દ્વારા અટકાયત કરેલા 291 લોકોમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટી થઈ છે અને બાકીના 160 લોકોની પૂછપરછ ચાલી રહી છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં ક્યાં કરાઈ કાર્યવાહી
સ્થાનિક પોલીસ સાથે મળીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા તળાવ વિસ્તાર, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.
સુરતમાં એસઓજી પોલીસ દ્વારા સર્ચ ઓપેરશન શરુ
સુરતમાં એસઓજી પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવા અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતા. ક્રાઇમબ્રાંચ, એસઓજી સહિતની પોલીસની ટીમોએ લિબાયત, પાંડેસરા, ભાથેનાં સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટમાં 272 બાંગ્લાદેશીઓની અટકાય
રાજકોટ શહેર પોલીસની અલગ અલગ 10 ટીમે મંગળવારે રાતેના 1 વાગ્યાથી બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશ હાથ ધર્યું હતું. ગૃહ વિભાગ તરફથી મળેલી યાદી મુજબ રાજકોટ શહેર પોલીસે 272 બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી છે જેમાં મોટા ભાગના તમામ વર્ક પરમીટ સાથે રાજકોટમાં રહી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ- ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી ₹ 5.51 લાખ લાંચ લેતા પકડાયા, ACB ને કરોડોની અપ્રમાણસર મિલકત મળી
જે લોકો આધાર પુરાવા નથી આપી શક્યા તેમના માટેની તપાસ પૂછપરછ હાલમાં ચાલુ છે. જેમની પાસે વિઝા કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહિ મળે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
