Iran president invitations PM Modi : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. પીએમ મોદીને આગામી મહિને અયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. ખામેનેઈ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હતા. આ અંતિમ સંસ્કાર જુલાઈ મહિનામાં યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ દ્વારા મંગળવારે વિદેશ મંત્રાલય (MEA)ને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. દૂતાવાસને આ આમંત્રણ બે દિવસ પહેલા મળ્યું હતું. અંતિમ સંસ્કારની વિધિઓ 4 જુલાઈએ તેહરાનમાં શરૂ થશે અને 9 જુલાઈએ ખામેનેઈના વતન મશહદમાં તેમની દફનવિધિ સાથે સમાપ્ત થશે. તેમની દફનવિધિ શરૂઆતમાં માર્ચ મહિના માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધ લંબાવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ પેજેશકિયન વતી જે વિશ્વ નેતાઓને ઔપચારિક આમંત્રણો મળ્યા છે તેમાં પીએમ મોદી ઉપરાંત ચીન, રશિયા, કતાર, ફ્રાન્સ અને પાકિસ્તાનના નેતાઓ પણ સામેલ છે. શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે.
ભારત દ્વારા પ્રતિનિધિત્વ અંગે નિર્ણય લેવાનો બાકી
પીએમ મોદીની ઈરાનની છેલ્લી સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત મે 2016માં થઈ હતી, જ્યારે તેઓ ચાબહાર પોર્ટના વિકાસ માટે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવા માટે ખામેનેઈ અને તત્કાલીન રાષ્ટ્રપતિ હસન રુહાનીને મળ્યા હતા. બે વર્ષ પછી ફેબ્રુઆરી 2018માં રાષ્ટ્રપતિ રુહાની પીએમ મોદીના આમંત્રણ પર ભારત આવ્યા હતા અને નવી દિલ્હી તથા હૈદરાબાદની મુલાકાત લીધી હતી.
પીએમ મોદી અને પેજેશકિયન છેલ્લે ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન મળ્યા હતા, જે દરમિયાન પીએમ મોદીએ પેજેશકિયનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
નવી દિલ્હીના સૂત્રોએ જણાવ્યું કે ભારતે હજી સુધી આ સરકારી અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં પોતાના પ્રતિનિધિત્વ અંગે કોઈ નિર્ણય લીધો નથી. વર્ષ 2024માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનના અવસાન પછી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ ભારતનું પ્રતિનિધિત્વ કરતા તેહરાનની મુલાકાત લીધી હતી.
Exclusive: રામ મંદિર ટ્રસ્ટ ફંડમાં ₹3,500 કરોડ રોકડા છતાં કોઈ SOP નહીં!
તેમણે વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સત્તાવાર સ્મરણાંજલિ અને શોક સભામાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટ દ્વારા પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે ભારતે 21 મે, 2024 ના રોજ એક દિવસીય રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી હતી.
ભારતે 5 માર્ચે સત્તાવાર રીતે ખામેનેઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને સત્તાવાર શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા હતા.
