વૈશ્વિક સ્તરે ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડી છે. ક્રૂડ ઓઇલ અને ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો થતાં વિદેશથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. પુસ્તકો બનાવવા માટે વપરાતા રો-મટિરિયલ પણ વિદેશથી આયાત થતો હોવાથી તેના ભાવો પણ વધી ગયા છે. આ આર્થિક ભારણ વચ્ચે પણ ગુજરાત સરકારે વાલીઓના હિતમાં એક સંવેદનશીલ નિર્ણય લીધો છે.
પાઠ્યપુસ્તક બોર્ડના કાર્યવાહક ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે, કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખાસ્સો વધી ગયો છે, જેની સીધી અસર પુસ્તકોના ઉત્પાદન પર થાય છે. આમ છતાં આ વધારાનો બોજ સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પર ના પડે તે હેતુથી સરકારે આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ના કરવાનો નિર્ણય કર્યો છે.
‘પુસ્તકો વહેલી તકે મળી રહે તેવી તૈયારીઓ’
આગામી 8 જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ચેરમેન મનુભાઈ પાવરાએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડના તમામ પાઠ્યપુસ્તકો વાલીઓને જૂના ભાવે જ મળશે. વૈશ્વિક કટોકટીના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા તડામાર કામગીરી ચાલી રહી છે.
ખાનગી પ્રકાશનો અને સ્ટેશનરીમાં તોતિંગ ભાવવધારો
એક તરફ સરકારે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખ્યા છે તો બીજી તરફ બજારમાં સ્ટેશનરીના ભાવોએ માઝા મૂકી છે. કાગળના ભાવમાં કિલોએ 8 થી 10 રૂપિયાનો વધારો થતાં સામાન્ય નોટબુક જે અગાઉ 30 થી 40 રૂપિયામાં મળતી હતી, તેના ભાવ વધીને હવે 55 થી 60 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કમ્પાસ બોક્ષ, બોલપેન, અને ફૂલસ્કેપ બુક્સ જેવી રોજિંદી જરૂરી વસ્તુઓમાં 15% થી 20% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય
જ્યારે ખાનગી પ્રકાશકોએ પોતાની ગાઇડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% સુધીનો અને NCERT પુસ્તકોમાં 10% નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આવા કપરા સમયમાં ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકોના ભાવ ના વધારવાના નિર્ણયથી વાલીઓને મોંઘવારીના આ દોરમાં ખૂબ મોટી આર્થિક રાહત અને આશરો મળી રહેશે.
