Tungnath World Highest Shiva Temple : ઉત્તરખંડના દેવોની ભૂમિ કહેવામાં આવે છે. હરિદ્વાર, કેદારનાથ થી લઇ ચારધામ સહિત ઘણા પ્રાચીન પવિત્ર મંદિરો ઉત્તરાખંડમાં આવેલા છે. અહીં દુનિયાનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલું એક પૌરાણિક મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. અમે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત તુંગનાથ મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ભગવાન શિવના સૌથી પવિત્ર ધામોમાંનું એક માનવામાં આવે છે.
તુંગનાથ મંદિર પંચ કેદારમાં ત્રીજા સ્થાને આવેલું છે અને દરિયાની સપાટીથી લગભગ 12,073 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. ધાર્મિક આસ્થા, પ્રાકૃતિક સૌંદર્ય અને ટ્રેકિંગનો અદભૂત સંગમ હોવાને કારણે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસા દરમિયાન તુંગનાથની ખીણો સ્વર્ગ જેવી લાગે છે.
તુંગનાથ મંદિરનું ધાર્મિક મહત્વ
હિન્દુ માન્યતાઓ અનુસાર, મહાભારતના યુદ્ધ પછી પાંડવો તેમના પાપો માંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની શોધમાં નીકળ્યા હતા. ભગવાન શિવ તેમના પર ક્રોધિત હતા અને વિવિધ સ્થળોએ છુપાઈ જતા હતા. એવું માનવામાં આવે છે કે તુંગનાથમાં ભગવાન શિવનો હાથ પ્રગટ થયો હતો. આ જ કારણ છે કે પંચ કેદારમાં આ સ્થળનું વિશેષ મહત્વ છે. ભક્તો માને છે કે અહીં આવવાથી જીવનની પીડા દૂર થાય છે અને આધ્યાત્મિક શાંતિ મળે છે.
તુંગનાથ મંદિરનો ઇતિહાસ
માનવામાં આવે છે કે હાલના તુંગનાથ મંદિરનું નિર્માણ લગભગ એક હજાર વર્ષ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે હકીકતમાં આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. આ મંદિર પથ્થરોનું બનેલું છે. ઉપરાંત, શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે અને મક્કુમથમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે.
તુંગનાથ મંદિરની વિશેષતા
તુંગનાથ મંદિરને વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે. અહીંથી ચૌખંબા, નંદા દેવી અને કેદારનાથ પર્વતમાળા દેખાય છે. મંદિરની નજીક આવેલું ચંદ્રશિલા શિખર ટ્રેકર્સમાં ખૂબ લોકપ્રિય છે. સૂર્યોદય સમયે અહીંનું દૃશ્ય ખૂબ જ મનમોહક હોય છે.
આ પણ વાંચો | ભારતના 5 મિનિ સ્વિટ્ઝરલેન્ડ, કુદરતી દ્રશ્ય જોઇ મન ખીલી ઉઠશે
તુંગનાથ મંદિર કેવી રીતે પહોંચવું?
તુંગનાથ પહોંચવા માટે સૌથી પહેલા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ચોપટા પહોંચવું પડે છે. ચોપટાથી તુંગનાથ મંદિર સુધી લગભગ 3.5 કિલોમીટરનો ટ્રેક છે, જે સરળ અને અત્યંત સુંદર માનવામાં આવે છે. ઉપરાંત, દિલ્હી, ઋષિકેશ અને હરિદ્વારથી ચોપતા માટે બસો અને ટેક્સી કાર સરળતાથી ઉપલબ્ધ છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ રેલ્વે સ્ટેશન છે, જ્યાંથી ચોપતા સડક માર્ગે પહોંચી શકાય છે. સૌથી નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. અહીંથી તમે ટેક્સી દ્વારા અને પછી ટ્રેકિંગ દ્વારા તુંગનાથ પહોંચી શકો છો.
