Final Up to date:
Most cancers Circumstances in Rajkot: આજે પાન, માવા અને તમાકુ જેવી વસ્તુઓ એટલી સરળતાથી મળી રહી છે કે વ્યસન હવે મોજશોખમાંથી ગંભીર બીમારી તરફ ઝડપથી લઈ જઈ રહ્યું છે. રાજકોટના ડો. ચિરાગ જણાવે છે કે મોંઢાના કેન્સરના વધતા કેસો પાછળ સૌથી મોટું કારણ પાન-માવાનું વ્યસન છે. સમયસર જાગૃતિ અને તપાસથી આ ઘાતક રોગને અટકાવી શકાય છે, પરંતુ લોકો હજુ પણ નાની ચાંદી અને ઘાને અવગણે છે, જે જીવ માટે જોખમી બની શકે છે.
રાજકોટ: રાજકોટની વેદાંત દાંતની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ચિરાગ જણાવે છે કે આજના સમયમાં વ્યસન આપણા રોજિંદા જીવનનો ભાગ બનતું જઈ રહ્યું છે. ખાસ કરીને પાન, માવા અને ફાકી જેવી વસ્તુઓ તો એટલી સરળતાથી ઉપલબ્ધ છે કે કોઈપણ કોમ્પ્લેક્સ અથવા વિસ્તારમાં જુઓ તો બે થી ત્રણ દુકાનો સહેલાઈથી નજરે પડે. જ્યારે કોઈ વસ્તુ આટલી આસાનીથી મળી જાય ત્યારે તેનો ઉપયોગ કરવો અને ત્યારબાદ વ્યસનમાં ફસાઈ જવું સ્વાભાવિક બની જાય છે. લોકો શરૂઆતમાં મજા માટે કે મિત્રોની સંગતમાં એકાદ વાર તેનો ઉપયોગ કરે છે, પરંતુ ધીમે ધીમે આ ટેવ શરીરની જરૂરિયાત બની જાય છે.
ડો. ચિરાગ વધુમાં સમજાવે છે કે માનવ શરીરની અને ખાસ કરીને બોડીની રચના એવી છે કે ખરાબ વસ્તુઓ તરફ ઝડપથી આકર્ષાય છે. તેઓ ઉદાહરણ આપતાં કહે છે કે જો કોઈ વ્યક્તિને સામે દૂધનો એક ગ્લાસ મૂકવામાં આવે તો તે આજે એક ગ્લાસ પીશે અને કાલે પણ એટલો જ પીવાનું મન થશે. જ્યારે પાન માવાની બાબતમાં એવું નથી. આજે એક ખાશો તો કાલે તેનાથી વધારે ખાવાની ઈચ્છા થશે અને ધીમે ધીમે માત્રા વધતી જશે. આ જ કારણ છે કે પાન માવાનું વ્યસન ખૂબ જ ઝડપથી વિકસે છે અને તેને છોડવું મુશ્કેલ બની જાય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડો. ચિરાગ દરેક લોકોને એક જ અપીલ કરે છે કે બને તેટલું વ્યસનથી દૂર રહેવું જોઈએ. તેઓ કહે છે કે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણા દેશભરમાં મોંઢાના કેન્સરના કેસોમાં આ વિસ્તાર આગળ છે. પરંતુ આ કોઈ ગૌરવ લેવાની બાબત નથી, આ અત્યંત ચિંતાજનક સ્થિતિ છે. પાન માવા અને તમાકુના વધતા ઉપયોગના કારણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી કેન્સરના ખતરામાં આવી રહ્યા છે.
ડો. ચિરાગ કહે છે કે ઘણી વખત લોકો મોંઢામાં થતી નાની ચાંદી અથવા ઘા ને અવગણે છે. જો મોંઢામાં કોઈ ચાંદી, ઘા અથવા ઘસારો એક મહિના સુધી પણ રૂઝાતો ન હોય, તો તે સામાન્ય બાબત નથી. આવા લક્ષણોને ગંભીરતાથી લેવાની જરૂર છે. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તાત્કાલિક ડોક્ટરને દેખાડવું ખૂબ જ જરૂરી છે અને ડેન્ટલ સર્જનની મુલાકાત લેવી જોઈએ. સમયસર તપાસ ન કરાવવાથી આવા કેસોમાં કેન્સરના ચાન્સ વધી શકે છે. તેમ છતાં, ડરવાની જરૂર નથી પરંતુ જાગૃત થવાની જરૂર છે. ડો. ચિરાગ જણાવે છે કે આજે નવી અને આધુનિક ટેકનોલોજીની મદદથી મોંઢાના કેન્સરને શરૂઆતના તબક્કામાં ઓળખી શકાય છે અને સમયસર સારવાર કરવામાં આવે તો કેન્સરને જડમૂળમાંથી કાઢી શકવું શક્ય છે. પરંતુ આ માટે જરૂરી છે કે લોકો પોતે જાગૃત બને, વ્યસનથી દૂર રહે અને શરીરમાં દેખાતા નાના લક્ષણોને અવગણે નહીં.
