Final Up to date:
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કર્યા બાદ નેટવર્ક 18ને ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે આ બજેટ ગત વર્ષ કરતા અલગ છે. ત્યારે જાણો બજેટને લઈને તેમણે અન્ય કયા મુદ્દાઓ પર વાત કરી.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ બાદ નેટવર્ક 18ના ગ્રુપ ચીફ એડિટર રાહુલ જોશીને એક્સક્લુસીવ ઈન્ટરવ્યુ આપ્યો. જેમાં તેમણે આ વિશેષ ઇન્ટરવ્યુમાં દેશની સ્થિતિને લઈને મહત્વની વાત કરી હતી. ઇન્ટરવ્યુમાં તેમણે સૌથી પહેલા તો સ્વીકાર્યું કે “આ વર્ષનું બજેટ પહેલાની સરખામણીએ અલગ છે. પરંતુ તેમણે ખાસ ભાર એ વાત પર આપ્યો કે વૈશ્વિક અનિશ્ચિતતા અને વર્તમાન પરિસ્થિતિમાં બજેટનું વિષયસ્થાન સ્થિરતા છે.”
બજેટ 2026ને લઈને લાગેલા આક્ષેપોને લઈને તેમણે જણાવ્યું કે “ભારતના અર્થતંત્રના મૂળભૂત તત્વો ખૂબ જ મજબૂત છે. પરંતુ વૈશ્વિક સ્તરે એવી અનિશ્ચિતતા છે જે આપણે ક્યારેય નથી જોઈ.” તેમણે વધુમાં એવું પણ જણાવ્યું કે “સરકારને માત્ર ચાલુ વર્ષ નહીં પણ આગામી ફાઈનાન્સ કમિશન સાયકલ અને વિકસિત ભારત 2047 સુધીના લાંબા માર્ગને ધ્યાનમાં રાખવો પડે છે.”
ઇન્ટરવ્યુમાં નાણામંત્રીએ કહ્યું કે “બજેટને વિશાળ સમયગાળામાં જોવું જોઈએ. કારણકે આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી સદીના બીજા ચોથા ભાગ તરીકે વર્ણવેલા સમયગાળાનું પહેલું બજેટ છે.” બજેટમાં ભાષણ Bને ખાસ મહત્વ અપાયું તે અંગે તેમણે કહ્યું કે “માત્ર ટેક્સ પ્રસ્તાવો પૂરતા નથી પણ વહીવટ અને નાણાકીય નીતિ કેવી રીતે વિકસશે એ પણ દર્શાવવામાં આવ્યું છે.” વધુમાં તેમણે જણાવ્યું કે “બજેટમાં માત્ર ટેક્સ પ્રસ્તાવો જ 2047 તરફ નથી લઈ જતા પણ તેમાં વહીવટ, ટેક્સ એડમિનિસ્ટ્રેશન અને નીતિ પ્રતિસાદો લાંબા સમયના ટાર્ગેટ કેવી રીતે રહેશે તે પણ દેખાય છે.”
ભારતના સતત ઝડપી વિકાસને હાઇલાઇટ કરતાં સીતારમણે કહ્યું કે “દેશમાં છેલ્લા ચાર વર્ષથી સૌથી ઝડપી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું છે, જેનું મુખ્ય કારણ રાજકીય અને નીતિગત સ્થિરતા છે.” સાથે જ તેમણે કહ્યું કે ઠટેક્સની ખાતરી વેપારીઓ માટે સ્થિરતા લાવે છે” અને એવું પણ કહ્યું કે “બજેટમાં માત્ર સુધારા સીમિત નથી, સુધારા તો ચાલુ જ રહે છે”. પરંતુ અન્ય કામગીરી જે સરકાર દ્વારા કરવામાં આવી તેના ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.
નાણામંત્રીએ 1 ફેબ્રુઆરીએ તેમના સતત નવમા બજેટમાં ત્રણ મુખ્ય “કર્તવ્ય” પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલું કર્તવ્ય છે અર્થતંત્રના વિકાસને ઝડપી અને ટકાઉ બનાવવું, જેમાં ઉત્પાદન ક્ષમતા, સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક અસ્થિરતાની સામે સ્થિરતા વધારવી. આ માટે ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં મોટા પગલાં લેવામાં આવ્યા છે.
બીજું કર્તવ્ય છે લોકોની આશાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારવી, જેથી નાગરિકો ભારતના વિકાસમાં મજબૂત ભાગીદાર બની શકે. તેમાં સ્કિલ-બિલ્ડિંગ, રોજગાર અને વધુ તકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્રીજું કર્તવ્ય “સબકા સાથ, સબકા વિકાસ”ના વિઝન સાથે જોડાયેલું છે, જેમાં દરેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રને વિકાસમાં સમાન ભાગીદારી મળે એ માટે સંસાધનો, સુવિધાઓ અને તકો સુધી સર્વેને પહોંચ સુનિશ્ચિત કરવી.
આ બજેટ, જેને પીએમ મોદીએ “ઐતિહાસિક” ગણાવ્યું, તેમાં લાંબા ગાળાના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી લીડરશીપ પર ભાર મૂકાયો છે. સરકારે જાહેર મૂડી ખર્ચ વધારીને Rs 12.2 લાખ કરોડ કર્યો છે, જેમાં મુખ્ય શહેરોને જોડતા સાત હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને એક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો પ્રસ્તાવ છે, જે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને મજબૂત બનાવશે. ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પણ મોટો ધક્કો આપવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે વધુ ફંડ ફાળવવામાં આવ્યું છે. જેથી આર એન્ડ ડી, સપ્લાય ચેઇન અને સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટને ટેકો મળે. કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટછાટ અને વિવિધ ક્ષેત્રોમાં નક્કી કરેલા પ્રોત્સાહનો પણ નિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે છે.

