સુરત નાસિરનગર ડિમોલિશન વિવાદ: ગત મે મહિનામાં શહેરના નાસિરનગર વિસ્તારમાં ઝૂંપડા તોડી પાડવાની વિવાદાસ્પદ કામગીરીના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકા (SMC) ના પાંચ અધિકારીઓને ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને તેમને અગાઉથી કોઈ નોટિસ આપવામાં આવી ન હતી તેવો આક્ષેપ કરીને કેટલાક રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
એસએમસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મે 30ના રોજ હાથ ધરવામાં આવેલી ડિમોલિશન ડ્રાઇવની તપાસ કરનારી છ સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણોના આધારે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ તપાસ દ્વારા અધિકારીઓની ભૂમિકાના આધારે તેમની સામેના આરોપો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓને અનિશ્ચિત મુદ્દત માટે સસ્પેન્ડ કરવાનો આ નિર્ણય હાઈકોર્ટની ટકોર બાદ આવ્યો છે. રહેવાસીઓની અરજીઓ પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પૂછ્યું હતું કે, ડિમોલિશન ડ્રાઇવ જેને કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર ગણાવી હતી તે દરમિયાન ઘટનાસ્થળે હાજર અધિકારીઓ સામે એસએમસી સત્તાવાળાઓએ શું પગલાં લીધાં છે?
સુરત મહાનગરપાલિકા દ્વારા આ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
- એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) સુજલકુમાર પ્રજાપતિ
- એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) જયંગ જીવરામજીવાલા
- ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ) અર્પણ મનસુખ પરમાર
- આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) મૌનિક ગઢિયા
- આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) નરેશકુમાર ગલચર
મે 30ના રોજ, મનપાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની એક ટીમ જેસીબી અને ડમ્પર જેવા ભારે સાધનો સાથે વેડ દરવાજા ખાતે આવેલા નાસિરનગર વિસ્તારમાં પહોંચી હતી. ત્યારબાદ એક ઓપરેશનમાં 106થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જે કથિત રીતે પછીના બે દિવસ પણ ચાલુ રહ્યું હતું, જેના કારણે આશરે 150 લોકો બેઘર થઈ ગયા હતા.
સ્થાનિક રાજકીય નેતાઓની સંડોવણીને લઇને આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતાં વિવાદ ઉગ્ર બન્યો હતો. છેવટે આ મામલો કમિશ્નર સુધી પહોંચ્યો હતો. જોકે તેમણે ત્યારે એવો દાવો કર્યો હતો કે તેઓ આવા કોઈ ઓપરેશનથી અજાણ હતા. જોકે, થોડા દિવસો પછી, એક વીડિયોમાં જણાવ્યું હતું કે આ ડિમોલિશન એસએમસી દ્વારા કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત કેટલાક રહેવાસીઓએ ટૂંક સમયમાં ન્યાય અને પુનર્વસનની માંગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ મામલાની પ્રથમ સુનાવણી જૂન 27ના રોજ હાઈકોર્ટના જજ નિખિલ કરિયેલની કોર્ટમાં થઈ હતી, ત્યારબાદ જૂન 29ના રોજ બીજી સુનાવણી થઈ હતી.
આ પણ વાંચો । સુરત ઝૂંપડપટ્ટી તોડવા મુદ્દે વિપક્ષ નેતાનો CMને પત્ર, ‘SMC ની જાણકારી વગર ઝૂંપડપટ્ટી તોડવી તે માનવું શક્ય નથી’
હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા અહેવાલમાં મનપાએ ઉલ્લેખ કર્યો હતો કે એસએમસીના સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓએ આ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. જૂન 27ના રોજ, નાસિરનગરના વિસ્થાપિત રહેવાસીઓને એસએમસી સત્તાવાળાઓ દ્વારા નજીકના ભરીમાતા કોમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યા હતા.
