ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે આ ચેમ્પિયન બેટ્સમેનએ સાબિત કર્યું છે કે “જૂની પેઢી” સર્વશ્રેષ્ઠ છે.
પાછલી બે મેચમાં શૂન્ય પર આઉટ થયા પછી વિરાટ કોહલીના 60 બોલમાં 105 રનની અણનમ ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં KKR (કોલકાતા નાઈટ રાઇડર્સ) ને 6 વિકેટથી હરાવ્યું, જેનાથી પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું.
IPL બ્રોડકાસ્ટર દ્વારા આયોજિત એક શોમાં બોલતા સુનીલ ગાવસ્કરે કહ્યું, “વિરાટ કોહલીએ KKR સામે શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે ટાર્ગેટનો પીછો કરવાની વાત આવે છે ત્યારે તે ફક્ત અજોડ છે.” તેમણે ઉમેર્યું, “દરેક વ્યક્તિ આ ‘જનરેશન નેક્સ્ટ’ (નવી પેઢી) ની સીઝન વિશે વાત કરી રહ્યો છે પરંતુ કોહલીએ સાબિત કર્યું છે કે તે હજુ પણ મેદાન પર ઊભો છે.”
સુનિલ ગાવસ્કરે આગળ કહ્યું, “તેમણે સદીથી પોતાના ટીકાકારોને જવાબ આપ્યો અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેમણે સાબિત કર્યું છે કે જૂના ખેલાડી હજુ પણ શ્રેષ્ઠ છે.” ગાવસ્કરે આગળ કહ્યું, “જ્યારે T20 ક્રિકેટમાં સદીઓની વાત આવે છે, ત્યારે તે 10 સદીઓ સાથે ઓલ ટાઇમ યાદીમાં ત્રીજા ક્રમે છે. ફક્ત ક્રિસ ગેલ અને બાબર આઝમ તેમની આગળ છે; જોકે, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન પૂરા કરવાનો રેકોર્ડ ફક્ત તેમનો જ છે.”
સુનિલ ગાવસ્કરે કહ્યું, “વિરાટ કોહલીએ હવે IPLમાં નવ સદીઓ ફટકારી છે. રેકોર્ડ તોડવા માટે જ છે પરંતુ જો વિરાટ કોહલી આ સાતત્ય સાથે રમવાનું ચાલુ રાખશે. મેચ પછી મેચ, સીઝન પછી સીઝન તો બીજા કોઈને પણ તેના પરાક્રમોની બરાબરી કરવામાં ઘણો સમય લાગશે.” ગાવસ્કરે એમ પણ કહ્યું કે વિરાટ કોહલીની આ ચોક્કસ સદી તે ખાસ ક્ષણોમાંની એક હતી જે તેમની મહાનતાની શક્તિશાળી યાદ અપાવે છે.
અર્જુન તેંડુલકરથી લઈને પૃથ્વી શો સુધીના આ 5 ખેલાડીઓને IPL 2026 માં નહીં મળે એક પણ મેચ? આખી સીઝન બેન્ચ પર જશે
અંતે સુનિલ ગાવસ્કરે કહ્યું કે કેકેઆર દ્વારા વિરાટ કોહલીનો છોડવામાં આવેલો કેચ મેચનો નિર્ણાયક વળાંક સાબિત થયો. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, “આરસીબી સામેની મેચ પહેલા કેકેઆર કેચિંગની દ્રષ્ટિએ ઉત્તમ હતું પરંતુ આ ખાસ કેચ છોડવો ખૂબ ખર્ચાળ સાબિત થયો.”
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ વિરાટ કોહલીનો આઈપીએલમાં 279મો દેખાવ હતો. આ સીમાચિહ્ન સાથે તે લીગના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો. મંગળવાર, 13 મે સુધી વિરાટ કોહલી રોહિત શર્મા અને એમએસ ધોની સાથે બરાબરી પર હતા. આ બંને ખેલાડીઓએ 278 મેચ રમી હતી.
વિરાટ કોહલીને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ આઈપીએલમાં 21મી વખત તેને આ એવોર્ડ મળ્યો હતો. આ સિદ્ધિ સાથે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડીમાં જોડાયો. તેમની આગળ ફક્ત એબી ડી વિલિયર્સ (25) અને ક્રિસ ગેલ (22) છે.
