Final Up to date:
સરકાર દ્વારા આજે 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિધન બાદ ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, પિયૂષ પાંડેને પદ્મ ભૂષણ અને સતીશ શાહને પદ્મશ્રીથી સન્માનિત કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, હાસ્ય અભિનેતા સતીશ શાહ અને એડ ગુરુ પીયૂષ પાંડેને પણ તેમના નિધન બાદ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 77માં પ્રજાસત્તાક દિવસે ભારતીય કળા અને સંસ્કૃતિને તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા આ યાદીમાં તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ધર્મેન્દ્રને હંમેશા બોલિવૂડના સૌથી લોકપ્રિય હીરોના રૂપમાં યાદ કરવામાં આવે છે. સારાભાઈ વર્સેસ સારાભાઈના અભિનેતા સતીશ શાહે પોતાની કોમેડીથી સૌને હસાવ્યા હતા. બીજી તરફ એડ ગુરુ પીયૂષ પાંડેએ પોતાની આવડતથી ભારતીય જાહેરાતનો ચહેરો બદલ્યો હતો.
89 વર્ષની ઉંમરમાં 24 નવેમ્બર 2025ના રોજ ધર્મેન્દ્રનું નિધન થયું હતું. પોતાના લાંબા કરિયરમાં તેમણે 300 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના નિધન બાદ ફિલ્મ ઇક્કિસમાં તેઓ છેલ્લી વાર જોવા મળ્યા હતા. ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સતીશ શાહ એક એવા કલાકાર હતા કે જેમણે ટીવી ઇન્ડસ્ટ્રીથી માંડીને બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સારાભાઈ વર્સેસ સારાભાઈમાં ઇન્દ્રવદનનો તેમનો રોલ ઘણો પ્રખ્યાત હતો. 25 ઓક્ટોબર 2025ના રોજ તેમનું નિધન થયું હતું. જેમાં 74 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
પીયૂષ પાંડે ભારતના જાહેરાત જગતની એક પ્રખ્યાત હસ્તી હતા. તેમણે દેશના અમુક યાદગાર અભિયાન પણ બનાવ્યા હતા. જેમાં હમારા બજાજ, દો બૂંદ જિંદગી કી પોલિયો અભિયાન. આ સિવાય 2014માં તેમણે અબ કી બાર મોદી સરકારનું સ્લોગન પણ આપ્યું હતું. 23 ઓક્ટોબર 2025ના રોજ તેમનું નિધન થયું હતું. તેમણે કેડબરી અને ફેવિકોલ જેવી પ્રખ્યાત જાહેરાતો માટે પણ કામ કર્યું હતું.
Jan 25, 2026 10:41 PM IST

