Gujarat Information : નાડોદા રાજપૂત સમાજના યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. બોપલ અમદાવાદમાં રહેતા 34 વર્ષીય વિપુલસિંહ પરબતભાઇ જાદવનું બીમારીના કારણે નિધન થયું હતું. આ પછી તેમના પરિવારે યુવકના બંને ચક્ષુઓનું દાન કરીને સમાજમાં ચક્ષુદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા વિપુલસિંહ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. અઠવાડિયાની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. જે પછી પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારે જીએમઇઆરએસ આઈ બેંક સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ચક્ષુદાન કર્યું હતું.
મૃતક યુવકના ભાઇ અશ્વિને જાદવે જણાવ્યું હતું કે નાની ઉંમરે નિધન થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આવી દુ:ખની ઘડીમાં પણ પરિવારે સમાજને પ્રેરણા મળે તે માટે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે અન્ય જરુરિયાતમંદ લોકોને રોશની મળી શકે.
એક વ્યક્તિના દાનથી બે વ્યક્તિની જિંદગીમાં અજવાળું આવી શકે છે, અને જે આંખો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નથી હોતી, તેનો ઉપયોગ તબીબી સંશોધન માટે થઈ શકે છે.
ચક્ષુદાન કોણ કરી શકે?
કોઇ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમ્યાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે. કોઇ વ્યક્તિએ જીવન દરમ્યાન સંકલ્પ ન કરેલો હોય તો પણ તેના મૃત્યુ બાદ તેના વાલીવારસો ચક્ષુદાન અંગેનો નિર્ણય લઇ શકે છે.ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઇ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો – ગુજરાતમાં કમોસમી વરસાદની આફત? 7 જિલ્લામાં IMDનું એલર્ટ
ચક્ષુદાન મૃત્યુ બાદ કેટલા સમયમાં થવું જોઇએ?
વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું વહેલું ચક્ષુદાન થઇ જવું જોઇએ. આનાથી દાનમાં મળેલ ચક્ષુની ગુણવતા જળવાઇ રહે છે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઇ શકે છે. તે હેતુસર મૃત્યુ બાદ 2થી 4 કલાકની અંદર ચક્ષુદાન થઇ જાય તે હિતાવહ છે.
ચક્ષુદાન માટે કોઇ વય મર્યાદા છે?
કોઇ પણ ઉંમરની વ્યક્તિ મૃત્યુ બાદ પોતાના ચક્ષુ દાનમાં આપી શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવતા ખૂબ જ સારી હોય છે. ત્યારે આવા ચક્ષુઓના દાન બાદ કીકી પ્રત્યારોપણમાં ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે.
