Final Up to date:
વડોદરામાં પાંચ વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. બાળકીના માસી રૂપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હતી જેથી શંકાસ્પદ છે.
વડોદરા: શહેરમાં પાંચ વર્ષની દીકરીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ દીકરીના માતા-પિતાનું મોત થયું છે. જેના કારણે આ દીકરી અને તેની મોટી બહેન માસી સાથે રહેતા હતા. થોડા સમય પહેલા મોટી બહેનને હાથમાં ફ્રેક્ચર થતા માસી દીકરીને દાદા-બા પાસે મૂકી ગયા હતા. અહીં દાદાબાએ કફ સિરપ પીવડાવ્યા બાદ તે દીકરીનું મોત નીપજ્યું છે. જેના કારણે દીકરીના માસીનો આક્ષેપ છે કે, આ દીકરી સાજી જ હતી. અચાનક તેનું મોત કઈ રીતે થઈ જાય? માસીએ મોતમાં કાંઈ શંકાસ્પદ છે તેવા આક્ષેપ કર્યા છે. જે બાદ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ઇલોરાપાર્ક આત્મજ્યોતિ આશ્રમ પાસે કાનન ફ્લેટમાં રહેતા 86 વર્ષના મનસુખભાઈ દેવજીભાઈ ઠક્કર અને તેમના પત્ની અંજુબેન નિવૃત્ત જીવન ગુજારે છે. મનસુખભાઈના પુત્ર હર્ષદભાઈ અને તેમના પત્નીનું ત્રણ વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તેમની એક દીકરી ધ્યાની (ઉં.વ. 5) બીજી દીકરી માસી રૂપલબેન પટેલના જણાવ્યા પ્રમાણે તેમની સાથે ખંભાતમાં રહેતા હતા. માસીના જણાવ્યા પ્રમાણે, તેઓ જ આ બંને દીકરીઓને ભણાવતા હતા. થોડા સમય પહેલા એક દીકરીના હાથમાં ફ્રેક્ચર થતા તે નાની દીકરીની સંભાળ લઈ શકતા ન હતા. જેથી તેને તેઓ વડોદરા દાદા-બા પાસે મૂકી ગયા હતા.
તો બીજી બાજુ માહિતી મળી રહી છે કે, દીકરીની તબિયત સારી નહીં હોવાના કારણે રાત્રે તેના કાકા શૈલેષ ઠક્કર (રહે. ઓમકારેશ્વર રેસિડેન્સી, રામા કાકાની ડેરી પાસે, છાણી જકાતનાકા) એ આપેલી કફ સિરપ પીવડાવી હતી. રાત્રે બાળકીની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. જોકે, ડોક્ટરે દીકરીનું મોત થયાનું જણાવ્યું હતું. જેથી આ લોકોએ રૂપલબેનને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું.
બાળકીના માસી રૂપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હતી જેથી શંકાસ્પદ છે. તેના કારણે જ તેનું મોત થયું હોઈ શકે છે. જેથી, ગોરવા પોલીસે બાળકીના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પેનલ પી.એમ. કરાવ્યું છે. પી.એમ.નો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે. પોલીસે સિરપની ચાર બોટલ એફ.એસ.એલ.માં મોકલી આપી છે. આ દીકરીનો વિસેરા રિપોર્ટ પણ કરવામાં આવશે.
આ અંગે પોલીસે માહિતી આપી છે કે, દીકરીના કાકા શૈલેષભાઈ મેડિકલ સ્ટોર ચલાવે છે. બાળકીને શરદી થઈ ગઈ હોવાથી તેમણે શરદી-ખાંસીની ત્રણ-ચાર સિરપ આપી હતી. જે પૈકી એક સિરપ ગઈકાલે રાત્રે દાદા, દાદીએ પૌત્રીને પીવડાવી હતી. પોલીસે સિરપની ચાર બોટલ કબજે લઈ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપી છે.
પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું છે કે, પિડિયાટ્રિક ડોક્ટરનો પણ અભિપ્રાય લીધો છે. જે દવાઓ હતી તે દવાઓ શરદી-ખાંસીની છે. બાળકી છેલ્લા ચાર-પાંચ દિવસથી બીમાર હતી. ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, બાળકીની છાતીમાં વધારે પડતો કફ જમા થઈ ગયો હતો. તેના કારણે જ મોત થયું હોવાની શક્યતા છે. આ દીકરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરાનો રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
Vadodara,Gujarat
Jan 19, 2026 11:36 AM IST

