India-Oman commerce : ભારત-ઓમાન વેપાર કરાર સોમવારથી લાગુ થઇ રહ્યો છે. આ સમજુતી અંતર્ગત ભારતીય ઉત્પાદનો પર કોઈ ટેક્સ લાગશે નહીં. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન મોદીની મસ્કત મુલાકાત દરમિયાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે સમજુતી શરુ થવાની જાહેરાત કરતા કહ્યું કે તે વિદ્યાર્થીઓ, કારીગરો, મહિલાઓ, ખેડૂતો, માછીમારો અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સમૃદ્ધિના વૈશ્વિક માર્ગો બનાવવાના કેન્દ્ર સરકારના મિશનમાં એક સીમાચિહ્નરૂપ બનશે. તે નવા બજારો ખોલશે, નિકાસને વેગ આપશે, રોકાણ આકર્ષશે અને રોજગાર સર્જનને વેગ આપશે.
આ કરાર શા માટે મહત્વપૂર્ણ છે?
ભારત-ઓમાન CEPA કરાર યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે લાગુ થયો છે. આ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા જહાજોની અવરજવર ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. વિશ્વના તેલ વપરાશનો લગભગ 20 ટકા, અથવા વૈશ્વિક તેલ વપરાશનો લગભગ પાંચમો ભાગ, આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી પસાર થાય છે, જે હાલમાં યુદ્ધને કારણે લગભગ-લગભગ બંધ છે.
ઓમાનનો મોટાભાગનો દરિયાકિનારો હોર્મુઝ સ્ટ્રેટની બહાર સીધો અરબ સાગર અને ઓમાનના અખાત સાથે જોડાયેલો છે. તેથી ભારત સરળતાથી પોતાનું તેલ અને ગેસ પુરવઠાનું ઍક્સેસ કરી શકશે. એનડીટીવી અનુસાર થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઓમાનના વ્યૂહાત્મક સ્થાનને કારણે સલાલાહ અને દુક્મ જેવા મહત્વના પોર્ટ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા પર પ્રભાવિત થશે નહીં.
કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકે 6 જૂને ભારત પરત ફરશે, ફોલોઅર્સને કરી આવી અપીલ
અજયે વધુમાં કહ્યું કે તેના ફળ સ્વરુપે અખાતમાં સંઘર્ષ અથવા અસ્થિરતાના સમયગાળા દરમિયાન ઓમાન વિશ્વસનીય વેપાર અને ઊર્જા પ્રવેશદ્વાર તરીકે સેવા આપવાનું ચાલુ રાખી શકે છે.
ખાડી દેશો સાથે વેપાર ખાધ વધી
મુખ્ય ગલ્ફ અર્થતંત્રોમાંથી ભારતની આયાત એપ્રિલ 2025 માં આશરે 15 અરબ અમેરિકન ડોલરથી ઘટીને એપ્રિલ 2026માં 9.8 અરબ અમેરિકન ડોલર થઈ ગયો છે. જ્યારે ભારતની નિકાસ પણ 4.4 અરબ અમેરિકન ડોલરથી ઘટીને 2.7 અરબ અમેરિકન ડોલર થઈ ગઈ છે.
ફક્ત ઓમાન સાથેનો વેપાર વધ્યો
જોકે ઓમાનથી ક્રૂડ ઓઇલ અને યુરિયાની ખરીદીમાં વધારો થવાને કારણે ઓમાનથી ભારતની આયાત 246.4 ટકા વધીને 430 મિલિયન યુએસ ડોલરથી લગભગ 1.5 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. જ્યારે ઓમાનમાં ભારતની નિકાસમાં માત્ર 10.3 ટકાનો ઘટાડો થયો છે.
CEPA હેઠળ, ઓમાન તેની ટેરિફ લાઇનના 98.08 ટકા પર શૂન્ય કર ઓફર કરી રહ્યું છે, જે ઓમાનમાં ભારતની નિકાસના 99.38 ટકાને આવરી લે છે. CEPA પહેલાં આ છૂટ 15.3 ટકા નિકાસ પર લાગુ પડતી હતી. રત્નો અને ઝવેરાત, કાપડ, ચામડું, ફૂટવેર, રમતગમતના સામાન, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને ઓટોમોબાઇલ્સ સહિત તમામ મુખ્ય શ્રમ-સઘન ક્ષેત્રોને સંપૂર્ણ કર મુક્તિ મળે છે.
