
ભારતમાં જ્યારે પણ ટેક્સની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન દુબઈ તરફ જાય છે, કારણ કે ત્યાં વ્યક્તિગત આવક પર કોઈ આવકવેરો લાગુ પડતો નથી. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતમાં પણ એક એવું રાજ્ય છે, જ્યાં ચોક્કસ પાત્ર નાગરિકોને આવકવેરો ચૂકવવાની જરૂર પડતી નથી. આ રાજ્ય છે ઉત્તર-પૂર્વ ભારતનું સુંદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સિક્કિમ. 1 / 5

ઘણા સમૃદ્ધ લોકો ટેક્સ બચાવવા માટે દુબઈમાં સ્થાયી થવાનું પસંદ કરે છે અને ત્યાં મિલકતોમાં રોકાણ પણ કરે છે. જોકે, ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં ખાસ કાનૂની જોગવાઈઓ હેઠળ પાત્ર રહેવાસીઓને આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે. તેથી તેઓ સરકારને આવકવેરો ચૂકવ્યા વિના પોતાની આવક મેળવી શકે છે.
2 / 5

હિમાલયની ગોદમાં વસેલું સિક્કિમ ભારતનું બીજું સૌથી નાનું રાજ્ય છે. કુદરતી સૌંદર્ય, બરફાચ્છાદિત પર્વતો, શાંત વાતાવરણ અને હરિયાળી માટે વિશ્વભરમાં તેની ઓળખ છે. પ્રવાસન અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ સિક્કિમની મુલાકાત લે છે. સિક્કિમને વિશ્વનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બદલે કુદરતી ખાતરોનો ઉપયોગ કરીને ખેતી કરે છે. આ કારણે અહીંનું કૃષિ ઉત્પાદન વધુ પર્યાવરણમિત્ર અને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે.
3 / 5

આ રાજ્યમાં આવેલું કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. અહીં વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર કાંચનજંગા (8,598 મીટર) આવેલું છે, જે એવરેસ્ટ અને K2 પછી સૌથી ઊંચું શિખર ગણાય છે. સ્થાનિક લોકો કાંચનજંગાને પવિત્ર માનતા હોવાથી તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે.
4 / 5

ઇતિહાસની વાત કરીએ તો, 16 મે, 1975ના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. રાજ્યની રાજધાની ગંગટોક છે, જે સિક્કિમનું સૌથી મોટું શહેર પણ છે. આશરે 7,096 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં ચીન (તિબેટ), દક્ષિણ-પૂર્વમાં ભૂતાન અને દક્ષિણમાં પશ્ચિમ બંગાળ આવેલા છે. જો કે, નોંધનીય બાબત એ છે કે સિક્કિમમાં આવકવેરાની છૂટ તમામ લોકોને મળતી નથી. આ લાભ માત્ર આવકવેરા કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પાત્ર ગણાતા રહેવાસીઓને જ મળે છે. તેથી સિક્કિમને સંપૂર્ણ રીતે “ટેક્સ-ફ્રી રાજ્ય” કહેવું યોગ્ય નથી, પરંતુ ત્યાંના પાત્ર નાગરિકોને મળતી આ વિશેષ છૂટ તેને દેશના અન્ય રાજ્યો કરતાં અલગ ઓળખ આપે છે.
5 / 5
થાઈલેન્ડે ભારતીયો માટે વિઝા ફ્રી પ્રવેશ રાખ્યો યથાવત, પણ આ એક કારણસર મૂકી દીધી નવી મર્યાદા !
