રવિવારે સાંજે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં રસ્તાની બાજુમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવતા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શોપિયાના ઝૈનાપોરા વિસ્તારના અવનીરામાં આ વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યું હતું.
સમાચાર એજન્સી IANS અનુસાર, જ્યારે આ IED મળી આવ્યું ત્યારે તે વિસ્તારમાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સ, CRPFની 178મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગેની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
IEDને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાયું
રસ્તાની બાજુમાં મળેલી શંકાસ્પદ વસ્તુ IED હોવાનું જણાતા સુરક્ષા દળોએ તરત જ તે વિસ્તારને ઘેરી લીધો હતો. સાવચેતીના પગલા તરીકે લોકોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને કોઈપણ નુકસાન વિના IEDને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સના બીજા દિવસે શૂટિંગમાં 2 સિલ્વર મેડલ, ક્રિકેટ અને માર્શલ આર્ટ્સમાં 2 મેડલ પાક્કા
ઉધમપુરમાં ઘાયલ આતંકવાદીની શોધ
શોપિયામાં IEDની ઘટના બની તે જ સમયે ઉધમપુર વિસ્તારમાં એક અલગ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા ત્યાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ આતંકવાદી હાલમાં મજલ્ટા વિસ્તારના જંગલોમાં છુપાયેલો છે. ‘દૈનિક ભાસ્કર’ના અહેવાલ મુજબ, મજલ્ટા વિસ્તાર ગાઢ જંગલો અને પહાડી ભૂપ્રદેશ ધરાવે છે, જ્યાં ઘાયલ આતંકવાદી છુપાયેલો છે. આ વિસ્તાર સતત દેખરેખ હેઠળ છે અને આસપાસના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર
અહેવાલો અનુસાર સેનાએ પાંચ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કઠુઆ, સાંબા, ઉધમપુર, ડોડા અને કિશ્તવાડ. નોંધનીય છે કે સેનાએ 17 સપ્ટેમ્બરના રોજ ‘ઓપરેશન સોહન’ હાથ ધર્યું હતું, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક આતંકવાદી ઘાયલ થયો હતો. ફોરેન્સિક ટીમો ભાગી જવાના માર્ગ પર મળી આવેલા લોહીના ડાઘ અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરી રહી છે.
