MP Farmers Protest : મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર મગ ખરીદવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરવાની જાહેરાત કરી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝડપ થઈ છે. જેના કારણે સ્થિતિ તંગ બની ગઈ છે.
મળતી માહિતી મુજબ પોલીસ અને ખેડૂતો વચ્ચે આ ઝડપની ઘટના ભોપાલના નર્મદાપુરમમાં બની હતી. ગુસ્સે ભરાયેલા ખેડૂતો બેરિકેડ્સ તોડીને બસો પર ચઢી ગયા હતા. ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ રોષ છે અને તેઓ તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉભા છે.
વીર સાવરકર સેતુ પર ટ્રેક્ટર અને ટ્રોલી ઉભા કરી દીધા
આંદોલનકારી ખેડૂતોએ કહ્યું કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ હંગામો મચાવશે. વીર સાવરકર સેતુ પર ખેડૂતોએ ટ્રેક્ટર ટ્રોલીને પોતાનું ઘર બનાવી લીધું છે અને આરામ કર્યા પછી વારાફરતી વિરોધ કરી રહ્યા છે.
આ સિવાય ભોપાલમાં ખેડૂતો હંગામો મચાવી રહ્યા છે. પોલીસે ખેડૂતોને રોકવા માટે બસો પાર્ક કરી હતી, પરંતુ ખેડૂતો તે બસો પર ચઢી ગયા હતા. પ્રદર્શનકારી ખેડૂતો પોલીસકર્મીઓ પર પાણીની બોટલો ફેંકી રહ્યા છે. ઘણા ખેડૂતો અર્ધનગ્ન થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ
પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોલીસે સુરક્ષા માટે લગાવેલા બેરિકેડ્સ તોડી રહ્યા છે. તેઓ સીએમ હાઉસ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડુતોએ બેરિકેડિંગ ઉપાડીને ફેંકી દીધા છે અને હંગામો મચાવ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને કહ્યું છે કે આ તો ફક્ત ટ્રેલર છે.
મુખ્યમંત્રી મોહન યાદવે શું કહ્યું?
ખેડૂત આંદોલન અંગે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે અમે ખેડૂતો માટે સમગ્ર રાજ્યમાં ‘કૃષિ કલ્યાણ વર્ષ’ ઉજવી રહ્યા છીએ. અમે ઘણા પગલાં લઈ રહ્યા છીએ. મેં ખેડૂતોને લગતા એક મામલા પર એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ખેડૂતો સાથે વાતચીત કરશે. ગઈકાલે અમે રાજ્યના કૃષિ મંત્રીને મોકલ્યા હતા. આજે પણ મંત્રીઓ અને અધિકારીઓ વાતચીત ચાલુ રાખશે. સરકાર ખેડૂતો માટે સકારાત્મક સૂચનોને સમર્થન કરે છે. પરંતુ બંને પક્ષોએ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી ના થાય. અમે વાતચીત દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવીશું.
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ ધ્વનિ મતથી પાસ, રાહુલ ગાંધીના નિવેદન પર હંગામો
ખેડૂતો તૈયારીઓ સાથે આવ્યા છે
મળતી માહિતી મુજબ નર્મદાપુરમ ક્ષેત્રના હજારો ખેડૂતો સાત દિવસનું રાશન, બિસ્તર અને વાસણો લઈને ભોપાલ પહોંચ્યા છે. ઘણા ખેડૂતોએ રસ્તા પર પડાવ નાખ્યો છે, ખુલ્લા આકાશ નીચે રાત પસાર કરી રહ્યા છે અને સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ખેડૂતોની મુખ્ય માંગ શું છે?
ખેડૂતોની મુખ્ય માંગણી વિશે વાત કરીને તેઓ મગની સંપૂર્ણ ખરીદી તેમજ ખાતર વિતરણમાં ઇ-ટોકન સિસ્ટમ નાબૂદ કરવા અને કૃષિ પ્રણાલીમાં સુધારણાની માંગ કરી રહ્યા છે.
