ઓડિશાના કેન્દુઝર જિલ્લામાં એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક આદિવાસી વ્યક્તિ બેંકમાંથી પૈસા ઉપાડવાની વારંવાર ના પાડવાથી હતાશ થઈને તેની મૃત બહેનનું હાડપિંજર લાવ્યો અને તેને બેંક પરિસરની સામે મુકી દીધુ હતું. તેણે બે મહિના પહેલા તેની બહેનનું અવસાન થયું હોવાનું સાબિત કરવા માટે આ કડક પગલું ભર્યું હતું.
આ ઘટના ઓડિશા ગ્રામ્ય બેંકની મલ્લીપાસી શાખામાં બની હતી. ડાયનાલી ગામના 59 વર્ષીય રહેવાસી જીતુ મુંડા સોમવારે સવારે શાખા ખુલે તે પહેલાં લગભગ 3 કિલોમીટર મુસાફરી કરીને પ્લાસ્ટિકની થેલીમાં તેની બહેનનું હાડપિંજર લઈને શાખામાં પહોંચ્યો હતો. તેણે હાડપિંજર બેંકની બહાર મૂક્યું અને તેના ખાતામાં જમા કરાયેલા ₹20,000 ઉપાડવાની માંગ કરી હતી.
બેંકે ચુકવણીનો ઇનકાર કર્યો હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની મોટી બહેન કલારા મુંડા (62) નું 26 જાન્યુઆરીએ અવસાન થયું હતું. તેણીએ કોઈને પણ તેના ખાતા માટે નોમિની તરીકે નિયુક્ત કર્યા ન હતા. જેના કારણે બેંકે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા વિનંતી કરી હતી. એવું કહેવાય છે કે આ પરિસ્થિતિથી વ્યથિત થઈને જીતુએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.
ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. તેમણે જીતુનું કાઉન્સેલિંગ કર્યું અને તેને તહસીલ ઓફિસમાંથી ‘કાનૂની વારસદાર પ્રમાણપત્ર’ મેળવવાની સલાહ આપી જેથી તે કાયદેસર રીતે રૂપિયા ઉપાડી શકે. ત્યારબાદ પોલીસે હાડપિંજરનો કબજો લીધો અને તેને ફરીથી દફનાવી દીધું.
કોંગ્રેસ-ભાજપને ફટકો! કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી, કુતિયાણામાં સાયકલ દોડી, જાણો પરિણામ
પટના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર (OIC) કિરણ પ્રસાદ સાહુએ જણાવ્યું કે જીતુ અશિક્ષિત છે અને કાનૂની વારસદારો અથવા નોમિની અંગેની પ્રક્રિયાઓથી અજાણ છે. તેમણે ઉમેર્યું કે બેંક અધિકારીઓ તેમને જરૂરી પ્રક્રિયાઓ યોગ્ય રીતે સમજાવવામાં નિષ્ફળ ગયા છે. કલારા મુંડાએ પહેલાથી જ તેના પતિ અને તેના એકમાત્ર પુત્રને ગુમાવી દીધા હતા, જેના કારણે જીતુ તેનો એકમાત્ર જીવિત સંબંધી બની ગયો હતો.
મંત્રી સુરેશ પૂજારીએ જવાબ આપ્યો
ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને બેંકને શક્ય તેટલી વહેલી તકે ભંડોળ મુક્ત કરવા નિર્દેશો જારી કર્યા. જોકે પટના બ્લોકના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) માનસ દંડપતે જણાવ્યું કે આ બાબતે તેમનો હજુ સુધી સત્તાવાર રીતે સંપર્ક કરવામાં આવ્યો નથી. જિલ્લા વહીવટીતંત્રે પણ સમગ્ર ઘટના અંગે વ્યાપક અહેવાલ માંગ્યો છે, જ્યારે બેંક અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ત્યાં જ સમગ્ર ઘટના પર ટિપ્પણી કરતા ઓડિશાના મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, “આ મારા જીવનની સૌથી શરમજનક ઘટના છે. કલેક્ટરે આ બાબતની નોંધ લીધી છે અને બાકી રકમ પણ દાવેદારને ચૂકવી દેવામાં આવી છે. જોકે આ પૂરતું નથી. જો કોઈ બેંક અધિકારી ગેરવર્તણૂકમાં સંડોવાયેલ હશે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
