Final Up to date:
Non secular Information: નાવલી નદીના પાવન કિનારે બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો જીવંત સંદેશ આપતું આધ્યાત્મિક કેન્દ્ર છે. આશરે 100 વર્ષ પહેલાં સ્થાપિત થયેલું આ મંદિર આજે પણ રાશન વિતરણ, વિનામૂલ્ય છાશ કેન્દ્ર અને શિક્ષણ સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આશા અને આસ્થાનું પ્રકાશ ફેલાવી રહ્યું છે.
અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પાવન કિનારે આવેલું શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર એક પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું ધાર્મિક સ્થાન છે. આશરે 100 વર્ષ પહેલાં રામસુંદરદાસ બાપુજી દ્વારા સ્થાપિત થયેલું આ મંદિર આજે પણ ભક્તિ, સેવા અને સંસ્કારનું જીવંત કેન્દ્ર બનીને ઉભર્યું છે. હનુમાનજી સાથે અહીં ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે, જે સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દે છે.
શ્રી તાત્કાલિક હનુમાનજી મંદિર માત્ર પૂજા-અર્ચન પૂરતું સીમિત નથી, પરંતુ માનવસેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પણ છે. મંદિર આશ્રમ દ્વારા ધર્મભક્તિ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને રાશન-કરિયાણું વિતરણ કરવામાં આવે છે, જેથી કોઈપણ પરિવાર ભૂખ્યો ન રહે. ખાસ વાત એ છે કે અહીં 365 દિવસ વિનામૂલ્ય છાશ કેન્દ્ર કાર્યરત છે, જ્યાં રોજેરોજ મોટી સંખ્યામાં લોકોને મફત છાશ આપવામાં આવે છે.

શિક્ષણ ક્ષેત્રે પણ મંદિર આશ્રમ નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તકો આપવામાં આવે છે, તેમજ ટ્યુશન ફી અને ટ્યુશન ક્લાસીસની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓના કારણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ આગળ વધવાની પ્રેરણા મળી છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. આ મંદિર પરિસરમાં નિયમિત રીતે હનુમાન ચાલીસા પાઠ, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સવાર અને સાંજની આરતી સમયે આખું પટાંગણ ભક્તિમય બની જાય છે. રોજિંદા 100થી વધુ ભક્તો અહીં દર્શન માટે આવે છે અને નાવલી નદીના શાંત વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિ અનુભવે છે.
