Nitin Gadkari On E20 Gas Controversy : ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે વિવાદ ઉભો થયો છે. વાહનોમાં ઇથેનોલના વધુ પ્રમાણવાળા મિશ્રણનો ઉપયોગ કરવાથી તેની ક્ષમતા પર અસર પડે છે કે નહીં, તે અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા વચ્ચે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, પેટ્રોલની સરખામણીએ ઇથેનોલનું કેલરીફિક વેલ્યુ (ઉષ્મા મૂલ્ય) ઓછું હોય છે. આ કારણે ઇંધણમાં ઇથેનોલનું પ્રમાણ વધવાથી સરેરાશ માઇલેજમાં થોડો ઘટાડો આવી શકે છે.
જો કે, ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં આ અસર ખૂબ જ સામાન્ય હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાહનોને નુકસાન થવાના જે સમાચારો ફરી રહ્યા છે તે “અતિશયોક્તિભર્યા” છે અને તે સુનિયોજિત રીતે ઊભા કરાયેલા “ખોટી અફવા” (ભ્રામક પ્રચાર)નો ભાગ છે.
ગડકરીએ કહ્યું કે પુણે સ્થિત ટેસ્ટિંગ લેબ ARAI (ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા) અને વાહન ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલા અસંખ્ય પરીક્ષણોમાં મંજૂરી મળ્યા બાદ જ ગયા વર્ષે દેશભરમાં E20 મિશ્રણ (20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ) રજૂ કરવામાં આવ્યું હતું.
જુની કારના કેટલાક પાર્ટ્સ પર સામાન્ય અસર થવાના મુદ્દે મંત્રીએ જણાવ્યું કે વાહન ઉત્પાદકોને સર્વિસિંગ દરમિયાન તે પાર્ટ્સ બદલી આપવાની સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું, “મને એવી એક પણ કાર બતાવો જેને E20 ઇંધણના કારણે નુકસાન થયું હોય. સોશિયલ મીડિયા પર જે કંઈ પણ ફેલાવવામાં આવી રહ્યું છે તે એક સુનિયોજિત ભ્રામક પ્રચારનો ભાગ છે.”
માઇલેજના મુદ્દે ગડકરીએ જણાવ્યું: “જુઓ, તેમા કેટલીક બાબતો છે: પહેલી બાબત એ કે ઇથેનોલ અને પેટ્રોલ વચ્ચે કેલરીફિક વેલ્યુનો તફાવત છે, જે એક હકીકત છે. પરંતુ માઇલેજ ડ્રાઇવિંગની સ્થિતિ પર પણ આધાર રાખે છે, ખાસ કરીને દિલ્હી અથવા મુંબઈ જેવા શહેરોમાં, જ્યાં ટ્રાફિકના કારણે વાહનો લોઅર ગીયરમાં વધુ રહે છે.
ARAIના રિપોર્ટ અનુસાર, જે વાહનો ખાસ કરીને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે બનાવવામાં આવ્યા છે, તેમાં માઇલેજ કાર્યક્ષમતાની કોઈ સમસ્યા નથી. એટલા માટે જ અમે ફ્લેક્સ એન્જિન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર કામ કરી રહ્યા છીએ.”
મંત્રીએ ઉમેર્યું, “દિલ્હીથી ગુડગાંવ વચ્ચેના સ્ટોપ એન્ડ ગો ટ્રાફિકમાં તમારે સતત બ્રેક મારવી પડે છે. રેડ લાઇટ આવે તે પહેલાં તમારી સ્પીડ ભાગ્યે જ 40 50 (કિલોમીટર પ્રતિ કલાક) પર હોય છે. જો કે, જો તમે 100 કિલોમીટર (પ્રતિ કલાક)ની સતત ઝડપે વાહન ચલાવો છો, તો તમને વેલ્યૂમાં થોડો તફાવત જોવા મળી શકે છે.”
એન્જિનને નુકસાન થવાના દાવાઓ પર ગડકરીએ જણાવ્યું કે તેમણે કંપનીઓને આવા કેટલાક કિસ્સાઓની તપાસ કરવા કહ્યું હતું, જેમાં જાણવા મળ્યું કે આ માટે ભેળસેળયુક્ત ઇંધણ જવાબદાર હતું.
ગડકરીએ કહ્યું કે, ફ્લેક્સ એન્જિનમાંથી ઘણું શીખવા મળ્યું છે, અને મટીરિયલ કમ્પ્લાયન્સ (સામગ્રીની સુસંગતતા)ના સંદર્ભમાં તેમાં સુધારા કરવામાં આવ્યા છે. “સર્વિસિંગ માટે આવતી જુની કારમાં પહેલાં વૉશર ધાતુના બનેલા આવતા હતા. હવે તે રબરના બને છે. સર્વિસિંગ દરમિયાન, અમે વાહન ઉત્પાદકોને ગ્રાહક પાસેથી કોઈ વધારાનો ચાર્જ લીધા વિના તે વૉશર બદલી આપવાની સૂચના આપી છે.
મારી જાણકારી મુજબ, કોઈ કાર ખોટકાઈ નથી. જ્યારે પરફોર્મન્સની વાત આવે છે, ત્યારે ઇથેનોલ વધુ સારું સાબિત થયું છે; તે ઘણી સારી એન્ટી નોકિંગ પ્રોપર્ટીઝ અને ઉંચો ઓક્ટેન નંબર ધરાવે છે. હું 2004થી ઇથેનોલને વૈકલ્પિક ઇંધણ તરીકે અપનાવવાની હિમાયત કરી રહ્યો છું…”
આગામી ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ટેક્નોલોજી અંગે તેમણે જણાવ્યું કે ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, ટોયોટા કિર્લોસ્કર અને મારુતિ સુઝુકી સહિત અડધો ડઝનથી વધુ કંપનીઓ ફ્લેક્સ મોડલ લાવી રહી છે. બ્રાઝિલ 1970થી 27 ટકા ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણનો ઉપયોગ કરી રહ્યું છે, જ્યાં હોન્ડા અને હ્યુન્ડાઈની કારો કોઈ પણ સમસ્યા વિના ઇથેનોલ પર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે ચાલી રહી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસને મંત્રીએ જણાવ્યું કે, “તેનો હેતુ જનતાને વિકલ્પ આપવાનો છે, અલગ-અલગ કિંમતે મિશ્રિત ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે, કારણ કે ઇથેનોલની કિંમત અંદાજે 75 રૂપિયા પ્રતિ લીટર છે.” ફ્લેક્સ ફ્યુઅલ હાઇબ્રિડ વાહનથી કાર્યક્ષમતામાં વધારો થાય છે, કારણ કે એન્જિનનો ઇલેક્ટ્રિક હિસ્સો એ સુનિશ્ચિત કરે છે કે ઊર્જા બેટરીમાં બચાવી શકાય.
ગડકરીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટથી સ્પષ્ટ થયું છે કે, અશ્મિભૂત ઇંધણ (ફોસિલ ફ્યુઅલ)ની આયાતના તમામ વિકલ્પો શોધવાની જરૂર છે. “કર્ણાટકમાં, અશોક લેલેન્ડે કર્ણાટક સ્ટેટ કોર્પોરેશન સાથે મળીને 15 ટકા મેથેનોલ-ડીઝલ મિશ્રણનો ઉપયોગ કરીને 25 બસો ચલાવી હતી. તેમણે તેને ત્રણ મહિના સુધી ચલાવી અને પ્રમાણિત કર્યું કે તેમાં કોઈ સમસ્યા નથી, જે પછી અશોક લેલેન્ડે એક સમર્પિત મેથેનોલ એન્જિન વિકસાવ્યું જેથી ટ્રક અને બસો મેથેનોલ પર ચાલી શકે.
હાલમાં, આસામ પેટ્રો-કેમિકલ્સ દરરોજ 20-22 રૂપિયા પ્રતિ લીટરના દરે 700 ટન મેથેનોલનું ઉત્પાદન કરે છે, જેની સરખામણીમાં પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ 110 રૂપિયા છે; આનાથી ખર્ચમાં મોટી બચત થાય છે.”
તેમણે કહ્યું કે ઇથેનોલ ફ્યૂઅલથી પ્રદૂષણ પણ ઓછું ફેલાય છે. “મેથેનોલનો ઉપયોગ ઉત્તર પૂર્વમાં ટ્રક અને બસો માટે થઈ શકે છે, અને તે દરિયાઈ (મરીન) એન્જિન માટે પણ શ્રેષ્ઠ ઇંધણ છે. બ્રહ્મપુત્રામાં જળ પરિવહન માટે અને બાંગ્લાદેશ જતા માલવાહક જહાજો (બાર્જ) માટે, અમે ડીઝલ અને પેટ્રોલની બચત કરવા માટે મેથેનોલ પર ચાલતા મરીન એન્જિનનો ઉપયોગ કરી શકીએ છીએ.
વાંસની રિફાઇનરીઓ (બેમ્બુ રિફાઇનરીઝ) દ્વારા, અમે ઇથેનોલ અને મેથેનોલનું ઉત્પાદન કરી શકીએ છીએ, જેથી ઉત્તર-પૂર્વમાં બસો, ટ્રક અને બાંધકામના સાધનો (કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ) ડીઝલના બદલે મેથેનોલ પર ચાલી શકે,” તેમ તેમણે જણાવ્યું હતું.
સાથે જ, ઇથેનોલમાંથી આઇસો બ્યુટેનોલ બનાવવામાં આવે છે જે ડીઝલના વિકલ્પ તરીકે કામ કરે છે, જે જરૂરી છે કારણ કે ઇથેનોલને સીધું ડીઝલ એન્જિનમાં મિક્સ કરી શકાતું નથી. કિર્લોસ્કર (ગ્રૂપ) એ બે જનરેટર સેટ તૈયાર કર્યા છે, એક 100 ટકા આઇસો-બ્યુટેનોલ પર અને બીજો ઇથેનોલ પર ચાલે છે અને બંને સફળ રહ્યા છે. “જો આપણે ટ્રેક્ટર, કૃષિ સાધનો, હાર્વેસ્ટર અને બાંધકામના સાધનો માટે આઇસો-બ્યુટેનોલનો ઉપયોગ કરીશું, તો આપણી ડીઝલની આયાત સમાપ્ત થઈ જશે.”
આ પણ વાંચો | E20 સામે વિરોધ બાદ E25 ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે મોદી સરકાર પીછેહઠ કરશે!
તેમણે ઉમેર્યું કે, “જનરેટર સેટ સીએનજી, ઇથેનોલ, મેથેનોલ અથવા આઇસો-બ્યુટેનોલ પર ચાલી શકે છે, આ તમામ સ્વદેશી ભારતીય ઇંધણ છે. આપણે વિદેશી ઇંધણ કે આયાત ઈચ્છતા નથી, કારણ કે હાલમાં આપણે 2 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાત કરીએ છીએ, અને મોટાભાગનું પ્રદૂષણ તેના કારણે થાય છે. બાંધકામના સાધનોને પણ ઇલેક્ટ્રિક બનાવી શકાય છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
