જો તમને છોડ ઉગાડવાનો શોખ હોય અને તમે તમારા ધાબા કે બાલ્કનીમાં ફૂલોથી લઈને શાકભાજી સુધીની વિવિધ વનસ્પતિઓ ઉગાડવાનું પસંદ કરતા હોવ તો આ લેખ તમારા માટે છે. આજકાલ ઘરે વિવિધ શાકભાજી ઉગાડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો તમને બ્રોકોલી પસંદ હોય તો તમે તેને સરળતાથી તમારા ધાબા પર ઉગાડી શકો છો. આ શાકભાજી ઉગાડવા માટે બહુ મહેનતની જરૂર પડતી નથી. તમારે ફક્ત છોડની સંભાળ રાખવાની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો ઘરે કુંડામાં બ્રોકોલી ઉગાડવાની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે જાણીએ.
બ્રોકોલી ઉગાડવા માટે આ ટિપ્સ ફોલો કરો
ઊંડા કુંડાનો ઉપયોગ કરો (10–12 ઇંચ): જો તમે તમારી બાલ્કનીમાં બ્રોકોલી ઉગાડવા માંગતા હોવ તો 10 થી 12 ઇંચ ઊંડું કુંડું પસંદ કરીને શરૂઆત કરો. આ શાકભાજી મોટા કુંડામાં સરળતાથી ઉગે છે.
બ્રોકલીનો છોડ વાવવાની રીત
તમે બીજમાંથી બ્રોકોલી ઉગાડી શકો છો પરંતુ જો તમારી પાસે બીજ ન હોય તો તમે નર્સરીમાંથી બ્રોકોલીનો નાનો છોડ (રોપો) ખરીદી શકો છો. કુંડાની માટીમાં ખાતર (કમ્પોસ્ટ), કોકોપીટ અને મુઠ્ઠીભર લીમડાના ખોળનો પાવડર મિક્સ કરો. માટીમાં નાનો ખાડો ખોદીને રોપો વાવો, તેની આસપાસની માટીને હળવા હાથે દબાવો અને પાણી આપો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/09/18/grow-broccoli-in-container-2026-09-18-19-21-17.jpg)
સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો
છોડને સૂર્યપ્રકાશની જરૂર હોય છે. શરૂઆતના ત્રણ-ચાર દિવસ સુધી છોડને સવાર અને સાંજનો હળવો તડકો મળે તેવી જગ્યાએ રાખો. ત્યારબાદ ધીમે ધીમે છોડને એવી જગ્યાએ ખસેડો જ્યાં તેને ભરપૂર સૂર્યપ્રકાશ મળતો હોય. એટલે કે દિવસના ઘણા કલાકો સુધી સીધો તડકો મળે. ટૂંક સમયમાં જ તમને બ્રોકોલીના પાન ફૂટતા જોવા મળશે.
આ પણ વાંચો: બજારમાંથી તાજા શાકભાજી કેવી રીતે ખરીદવી? આ 5 સીક્રેટ ટિપ્સથી કેમિકલયુક્ત અને ખરાબ શાકભાજી ઓળખો
રાઈના ખોળનું લિક્વીડ ખાતર
છોડને દર 15 થી 20 દિવસે રાઈના ખોળનું પ્રવાહી ખાતર આપો. છોડની તંદુરસ્ત વૃદ્ધિ અને શ્રેષ્ઠ વિકાસ માટે, લણણી (પાક ઉતારવા) સુધી નિયમિતપણે પ્રવાહી ખાતર આપી શકાય છે. આ ઉપરાંત જો તમારા ઘરના છોડ કરમાવા લાગ્યા હોય તો તેમને ફરીથી લીલાછમ બનાવવા માટે આ પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો.
