ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20માં બંને ટીમોના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. ખેલાડીઓએ ઝિમ્બાબ્વે ક્રિકેટના ઉપપ્રમુખ સિલ્વેસ્ટર માત્શાકાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મેચના એક દિવસ પહેલા સિલ્વેસ્ટર માત્શાકાના અચાનક નિધનના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટમાં શોકની લાગણી ફેલાઈ હતી. તેમના સન્માનમાં ભારતીય અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી હતી. આ માધ્યમથી ભારતીય ટીમે પણ મુશ્કેલીના આ સમયમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ સાથે એકતા અને સંવેદના વ્યક્ત કરી હતી.
મેદાન પર બંને ટીમો એકબીજાની હરીફ હતી, પરંતુ આ પ્રસંગે ખેલાડીઓએ રમતથી આગળ માનવતા અને આદરનું ઉદાહરણ રજૂ કર્યું હતું. કાળી પટ્ટી દ્વારા સ્વર્ગસ્થ સિલ્વેસ્ટર માત્શાકાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ભાવનાત્મક ક્ષણે બંને ટીમો એકસાથે જોવા મળી હતી.
મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરનો સતત આઠ ટોસ જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો હતો. પરિણામે ટીમ ઈન્ડિયાએ બીજી T20માં પ્રથમ બેટિંગ કરી હતી.
ભારતે શ્રેણીની બીજી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી T20 શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી હતી. આ સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વાર સિરીઝ જીતી હતી. (X/BCCI/Zimbabwe Cricket)





