Final Up to date:
અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના યુદ્ધમાં હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ IRIS DENA ડૂબ્યું છે. ત્યારે અમેરિકાએ એક સબમરિનમાંથી Mk 48 ટોર્પિડોનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું છે. નોંધનીય છે કે, આ ઘટનામાં 89થી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.
America torpedo assault: છેલ્લા 4-5 દિવસથી ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના યુદ્ધમાં ગઈકાલે ભારત-શ્રીલંકાની બોર્ડર નજીક હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું હોવાની માહિતી સામે આવી હતી. જે મામલે અમેરિકાના સંરક્ષણ અધિકારીએ ‘અમેરિકન નેવીના ટોર્પિડો હુમલામાં આ ઈરાની જહાજ તબાહ થયું હોવાનો દાવો કર્યો છે.’ નોંધનીય છે કે, આ ઈરાની જહાજમાં ડઝનબંધ લોકો સવાર હતા અને હુમલા બાદ યુદ્ધ જહાજ ડૂબી જતા ઘણા બધા ઈરાની સૈનિકો પણ દરિયામાં લાપતા બન્યા છે, ત્યારે આવી સ્થિતિમાં અમેરિકન અધિકારીએ દાવો કરતા આખા વિશ્વમાં આ ઘટનાથી હાલ આખા વિશ્વમાં ખળભળાટ મચ્યો છે.
વિગતે વાત કરીએ તો, હાલમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધ વચ્ચે તાજેતરમાં શ્રીલંકાના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, ‘તેમણે ભારતના કન્યાકુમારીથી અંદાજે 400 કિમી દૂર ભારત-શ્રીલંકાની દરિયાઈ જળસીમામાં ડૂબતા ઈરાની યુદ્ધ જહાજ ‘મૌજ ક્લાસ ફ્રિગેટ IRIS DENA’માંથી ઈરાની ખલાસીઓને બચાવ્યા છે.’ શ્રીલંકાના અધિકારીઓના આ નિવેદન બાદ અમેરિકાના સંરક્ષણ સેક્રેટરી પીટ હેગસેથે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઈરાની યુદ્ધ જહાજ AU.S. નૌકાદળના સબમરીનના હુમલામાં ડૂબ્યું હોવાનો દાવો કર્યો છે.
પ્રેસકોન્ફરન્સમાં સંરક્ષણ સેક્રેટરી પીટ હેગસેથે મીડિયાને બ્રિફ કરતા જણાવ્યું હતું કે, “ગઈકાલે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને એક ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું છે, ઈરાની સૈન્ય આ યુદ્ધ જહાજને આંતરરાષ્ટ્રીય પાણીમાં સલામત માનતા હતા. જોકે અમેરિકન સબમરીને તેને એક ટોર્પિડોથી ડૂબાડી દઈને શાંત મૃત્યુ આપ્યું છે અને બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડોથી દુશ્મન યુદ્ધ જહાજ ડૂબવાની આ પ્રથમ ઘટના છે.”
આ પ્રેસ બ્રીફિંગમાં, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ યુએસ એરફોર્સ જનરલ ડેન રાઝિન કેને જણાવ્યું હતું કે, આ હુમલો એક અનિશ્ચિત “ફાસ્ટ એટેક સબમરીન” દ્વારા માત્ર એક સિંગલ Mk 48 ટોર્પિડોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાના અધિકારીઓએ અગાઉ જાહેરાત કરી હતી કે, ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS દેના’ તરફથી એક સંદેશ મળ્યા બાદ શ્રીલંકાના નૌકાદળે સ્થાનિક સમય મુજબ સવારે 6:00 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી હતી. મીડિયા રિપોટ્સ મુજબ, ઘટના સમયે યુદ્ધ જહાજમાં લગભગ 180 લોકો સવાર હતા, જેમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અંદાજીત 89થી વધુ મૃતદેહો મળી આવ્યા છે અન્ય લાપતા લોકોની શોધખોળ હાલ કરાઈ રહી છે.
સમાચાર એજન્સી ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ (newindianexpress)ના રિપોટ્સ મુજબ, આ બનાવમાં શ્રીલંકાના નૌકાદળે પાણીમાંથી 89 મૃતદેહ શોધી કાઢ્યા છે, પરંતુ 61 જેટલા હજુ પણ ગુમ છે. આટલું જ નહીં આ ઘટનામાં અગાઉ શ્રીલંકન વિદેશ પ્રધાન વિજિતા હેરાથે ‘શ્રીલંકાના દળોએ ત્રાટકેલા ઈરાની ફ્રિગેટ આઈઆરઆઈએસ દેનામાંથી 32 ઘાયલોને બચાવ્યા હોવાની અને અન્ય લોકોની શોધ હજુ પણ ચાલુ હોવાની’ માહિતી આપી હતી.
નોંધનીય છે કે, અગાઉના અલ્વાન્ડ ક્લાસમાંના યુદ્ધ જહાજને અપગ્રેડ કરીને બનાવવામાં આવેલી ઈરાની મૌજ ક્લાસ ફ્રિગેટ્સ ઈરાનના સૌથી આધુનિક અને સક્ષમ સપાટી લડાયક યુદ્ધ જહાજમાંની એક માનવામાં આવે છે. જોકે અમેરિકાએ “ફાસ્ટ એટેક સબમરીન” દ્વારા માત્ર એક સિંગલ Mk 48 ટોર્પિડોનો ઉપયોગ કરીને તેને પાણીમાં ભેળવી દીધું હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર અમેરિકાએ ડિપાર્ટમેન્ટ ઓફ વોર નામના એકાઉન્ટ પર આ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, હિંદ મહાસાગરમાં યુએસ નેવી સબમરીન ઈરાની ફ્રિગેટને કરીને ટોર્પિડો છોડે છે અને બાદમાં તે ઈરાની યુદ્ધ જહાજના પાછળના ભાગે અથડાતા જ એક મોટો વિસ્ફોટ થતો જોવા મળે છે.
New Delhi,Delhi
Mar 04, 2026 10:38 PM IST

