Ujjain Land Controversy CM Mohan Yadav: મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર સામેનો જમીન વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક્સક્લુઝિવ અહેવાલ બાદ કોંગ્રેસ દ્વારા આ મામલે સીએમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રહારો થઇ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ મુખ્યમંત્રીના બચાવમાં મેદાને ઉતર્યું છે. જોકે મુખ્યમંત્રી દ્વારા આ મામલે મૌન સેવાઇ રહ્યું છે.
મોહન યાદવ અને તેમની પત્ની સીમા 73 ટકા હિસ્સો ધરાવે છે તે ફર્મે તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ 1.43 કરોડ રુપિયામાં ઓછામાં ઓછી 2.6 એકર જમીન ખરીદી હતી. પરિવાર અને રિયલ એસ્ટેટ ફર્મ્સ દ્વારા કરાયેલી જમીનની ખરીદી અંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસની તપાસને લઈને કોંગ્રેસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવિયા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ હેમંત ખંડેલવાલ અને મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓએ આ આક્ષેપોને “આધારહીન, તથ્યવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.
જો કે, તપાસના મુખ્ય તારણો પર પાર્ટી મૌન છે, જે દર્શાવે છે કે યાદવ પરિવારની જમીન સંપાદન ક્ષમતા 2021 અને 2023 ની વચ્ચે બમણી થઈ હતી જ્યારે મોહન યાદવ મંત્રી હતા, અને 2024 થી 2025 ની વચ્ચે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી ફરીથી બમણી થઈ ગઈ હતી.
ગુરુવારે X પર એક પોસ્ટમાં માલવિયાએ જણાવ્યું હતું કે: ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટને આધારે ઊભા કરાયેલા આક્ષેપોનું આખું માળખું એવા આડકતરા સંકેતો પર ટકેલું છે કે મોહન યાદવ અથવા તેમના પરિવારે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી માહિતી સુધીની વિશેષાધિકૃત પહોંચનો લાભ લીધો હતો. પરંતુ તથ્યોની સામાન્ય તપાસ પણ દર્શાવે છે કે આ કેટલું આધારહીન અને તથ્યવિહોણું છે.
સૌથી મહત્વપૂર્ણ તથ્ય તરીકે માલવિયાએ દાવો કર્યો હતો કે “મુખ્યમંત્રી અને તેમના નજીકના પરિવારની જમીન સંપાદનમાં તેઓ મુખ્યમંત્રી પદ પર આવ્યા ત્યારથી કોઈ વધારો થયો નથી.
સત્તાવાર રેકોર્ડ ભાજપના દાવા કરતાં વિપરીત
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા અહેવાલ આપ્યા મુજબ, મોહન યાદવની પુત્રવધૂ શાલિનીએ જૂન-જુલાઇ 2025 માં ઉજ્જૈનના ગંગેડીમાં અપગ્રેડ કરાયેલા ઉજ્જૈન-બડનગર અને ઉજ્જૈન-ઇન્દોર હાઇવેના જંક્શન નજીક 1.03 કરોડ રુપિયામાં 10.35 એકરના 12 પ્લોટ જમીન ખરીદી હતી.
શ્રી સિદ્ધિવિનાયક દેવકોન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં મોહન યાદવ અને તેમની પત્ની સીમા અનુક્રમે 47.3 ટકા અને 25.5 ટકા હિસ્સો ધરાવે છે, તેમણે પણ ડિસેમ્બર 2024 અને માર્ચ 2025 ની વચ્ચે ઉજ્જૈનના સાવરખેડી અને કસ્બા ઉજ્જૈનમાં 1.43 કરોડ રુપિયામાં કુલ 2.6 એકરના ઓછામાં ઓછા ત્રણ પ્લોટ ખરીદ્યા હતા.
શ્રી સિદ્ધિવિનાયક દેવકોન્સ પ્રાઇવેટ લિમિટેડે સપ્ટેમ્બર 2024 માં ઉજ્જૈનના ઢેડિયામાં મોહન યાદવના પિતરાઈ ભાઈ નીલેશને 6.01 કરોડ રુપિયામાં ઓછામાં ઓછી 12 એકર જમીન વેચી પણ હતી. નીલેશ આ જમીન પર સાવરિયા બ્રાન્ડ હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ વિકસાવી રહ્યો છે.
માલવિયાએ વધુમાં લખ્યું છે કે ઉજ્જૈન માસ્ટર પ્લાન અને શહેરના ભાવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિગતો મે 2023 થી સાર્વજનિક ક્ષેત્રે ઉપલબ્ધ હતી, જે યાદવ તે જ વર્ષના ડિસેમ્બર મહિનામાં મુખ્યમંત્રી બન્યા તેના મહિનાઓ પહેલાંની વાત છે.
તેમણે દલીદ કરી કે, જો રસ્તાઓ, શહેરી વિસ્તરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો રોડમેપ સાર્વજનિક રીતે જાણીતો હતો, તો મુખ્યમંત્રી અથવા અન્ય કોઈને તેઓ ઓફિસમાં આવ્યા પછી કોઈ ઇનસાઇડર ફાયદો મળવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે?
રેકોર્ડ દર્શાવે છે કે સીએમના પુત્ર વૈભવ યાદવ અને મંગલમૂર્તિ ઇન્ફ્રાએ સાવરખેડીમાં માર્ચ એપ્રિલ 2023 માં 9.46 કરોડ રુપિયામાં ઓછામાં ઓછી 30 એકર જમીન ખરીદી હતી. આ દસ્તાવેજ મે 2023 માં સાર્વજનિક કરવામાં આવ્યો તેના ગણતરીના અઠવાડિયા પહેલાં. આ એ જ વિસ્તાર છે જ્યાં ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 માં ખેતીની જમીન વિકાસ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. પરિવારે ત્યાર પછીના મહિનાઓમાં પણ આ ઝોનમાં જમીન ખરીદવાનું ચાલુ રાખ્યું હતું.
તપાસ અહેવાલમાં એ પણ જણાવાયું છે કે કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અગાઉથી જ વિચારણા હેઠળ હતા, પરંતુ મોહન યાદવે મુખ્યમંત્રી બન્યા પછી રોડ પ્રોજેક્ટ્સની શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી. યાદવ મુખ્યમંત્રી બન્યા પછી ઉજ્જૈનમાં પરિવાર દ્વારા ખરીદવામાં આવેલી 168 એકર જમીનમાંથી લગભગ બે તૃતીયાંશ જમીન આ નવી સડક લિંક્સ અને હાઇવે નજીક આવેલી છે.
આ સપ્તાહની શરૂઆતમાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ખંડેલવાલે કોંગ્રેસના આરોપોને “સંપૂર્ણપણે આધારહીન, તથ્યની દ્રષ્ટિએ ખોટા અને રાજકીય રીતે પ્રેરિત” ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે 2023 ની વિધાનસભા ચૂંટણી માટે યાદવ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં તેમના અને તેમની પત્નીના નામે રહેલી તમામ જમીનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ત્યાર પછી કોઈ વધારો થયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2023 પહેલાં યાદવના પુત્ર વૈભવ યાદવની માલિકીની 16 એકર જમીનમાં પણ યાદવ મુખ્યમંત્રી બન્યા પછી કોઈ વધારો થયો નથી.
શ્રી સિદ્ધિવિનાયક દેવકોન્સ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં યાદવ અને પત્ની સીમા 73 ટકા હિસ્સો ધરાવે છે, તે અંગે ખંડેલવાલે જણાવ્યું હતું કે 2023 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ફર્મ આશરે 68 એકર જમીન ધરાવતી હતી અને ત્યારથી તેની હોલ્ડિંગ્સ ઘટીને આશરે 65 એકર થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે મોહન યાદવને કંપનીની વર્તમાન પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નથી કારણ કે તેમણે 2017 માં કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો । ઉજ્જૈન જમીન વિવાદ: ‘માસ્ટર પ્લાન સીએમના પરિવાર માટે બદલાયો!’ જીતુ પટવારી અને ઉમંગ સિંઘારના ભાજપ પર આકરા પ્રહારો
ખંડેલવાલે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીના સંબંધીઓ તેમનો વ્યવસાય અને આર્થિક પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે ચલાવે છે અને તેમના ખાનગી વ્યવહારો કે વ્યવસાયને યાદવ સાથે જોડવા તે “તથ્યની દ્રષ્ટિએ ખોટું” છે.
મધ્યપ્રદેશના પીડબ્લ્યુડી (PWD) મંત્રી રાકેશ સિંહે જો કે જણાવ્યું હતું કે તપાસ માટેની કોંગ્રેસની માંગ સામે તેમને કોઈ વાંધો નથી. “જો કોઈ તપાસની માંગ ઉઠાવે છે, તો તપાસ થવી જોઈએ. તેની સામે કોઈ વાંધો નથી. …હું માનું છું કે જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે એકત્રિત કરવામાં આવી હોય, તો તે પણ સામે આવવી જોઈએ.
જૂન 23 ના રોજ, ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના પરિવારે સીધા અથવા તેમની રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક દ્વારા, 2021 અને 2023 ની વચ્ચે ઉજ્જૈનમાં ઓછામાં ઓછી 85 એકર જમીન હસ્તગત કરી હતી, જ્યારે યાદવ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપતા હતા. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે યાદવ મુખ્યમંત્રી બન્યા પછી 2024 અને 2025 ની વચ્ચે તેમણે ઓછામાં ઓછી 168 વધારાની એકર જમીન ખરીદી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે એ પણ શોધી કાઢ્યું કે યાદવ પરિવાર ઉજ્જૈનમાં ઓછામાં ઓછી અન્ય 82 એકર જમીન ધરાવે છે, જે કાં તો લાંબા સમયથી તેમની પાસે છે અથવા તો તેની ખરીદીની તારીખો નક્કી થઈ શકી નથી.
જો એમ ધારી લેવામાં આવે કે પરિવારની આ 82 એકર જમીન 2020 સુધીમાં પહેલેથી જ તેમની માલિકીની હતી, તો પણ યાદવ મંત્રી બન્યા પછી 2021-2023 દરમિયાન તેમની જમીન બમણી થઈને 167 એકર થઈ ગઈ હતી. યાદવ મુખ્યમંત્રી બન્યા પછી 2024-2025 દરમિયાન આ જમીન ફરીથી બમણી થઈને 335 એકર થઈ ગઈ હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે કે સીએમ યાદવ અને પત્ની સીમાના પોતાના નામે અનુક્રમે 17 અને 11 એકર જમીન છે, જે યાદવની 2023 ની ચૂંટણી એફિડેવિટમાં જાહેર કરવામાં આવી હતી.
તેઓ શ્રી સિદ્ધિવિનાયક દેવકોન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અન્ય ઓછામાં ઓછી 27.5 એકર જમીનની માલિકી ધરાવે છે, જે કંપનીમાં તેઓ 73% હિસ્સો ધરાવે છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે એ પણ અહેવાલ આપ્યો છે કે મે 2023 માં ઉજ્જૈન માસ્ટર પ્લાન બહાર પાડવામાં આવ્યો તેના ગણતરીના અઠવાડિયા પહેલાં, યાદવ પરિવારે માર્ચ-એપ્રિલ 2023 માં સાવરખેડીમાં ઓછામાં ઓછી 30 એકર જમીન ખરીદી હતી.
2024-25 માં ખરીદેલી 168 એકર જમીનમાંથી, 111 એકર જમીન નવી સડક લિંક્સ અને હાઇવેની નજીક છે, અને 33 એકર જમીન એવા વિસ્તારોમાં છે જે નવા માસ્ટર પ્લાનમાં રહેણાંક અથવા વ્યાપારી ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો । ઉજ્જૈન લેન્ડ સ્કેન્ડલ: CM મોહન યાદવના પરિવારે ખરીદી 168 એકર જમીન, ત્યાં સરકારે બનાવ્યા કરોડોના રોડ પ્રોજેક્ટ્સ!
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની ઓફિસને 13 એપ્રિલના રોજ મોકલવામાં આવેલા વિગતવાર પ્રશ્નોના હજુ સુધી કોઈ જવાબો મળ્યા નથી.
