Strait of Hormuz : બુધવારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર ગોળીબાર કર્યો હતો. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જહાજો પર ગોળીબાર ઈરાનના અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. બ્રિટીશ સૈન્યના યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર ઇરાન તરફથી પહેલા એક કન્ટેનર જહાજ પર ગોળીબાર થયો હતો. થોડા સમય પછી અન્ય જહાજને નિશાન બનાવ્યું હોવાનું કહેવાય છે.
બે જહાજોને રિવોલ્યુશનરી ગાર્ડે કસ્ટડીમાં લીધા
ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ જહાજોને રિવોલ્યુશનરી ગાર્ડે કસ્ટડીમાં લીધા છે. આ જહાજોની ઓળખ MSC Francesca અને Epaminonda તરીકે કરવામાં આવી છે.આ પછી ઈરાનની અર્ધસત્તાવાર નોર ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે ઈરાની ગાર્ડ્સે ‘યુફોરિયા’ નામના ત્રીજા જહાજ ઉપર પણ હુમલો કર્યો હતો.
યુકેએમટીઓએ જણાવ્યું હતું કે પહેલા જહાજ પર રિવોલ્યુશનરી ગાર્ડની ગનબોટ દ્વારા પૂર્વ ચેતવણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે કોઈ ઈજા થઈ નથી. નોર ન્યૂઝના જણાવ્યા અનુસાર આ જહાજોને ઇરાન દ્વારા સતત ચેતવણી આપવામાં આવી હતી, જેની અવગણના કરી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી, ઈરાને તેને એક તરફી નિર્ણય ગણાવ્યો
નાકાબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વાતચીત ફરી શરૂ થશે નહીં – ઈરાન
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાના સંકેત આપ્યા છે. જ્યારે તેહરાને યુદ્ધવિરામ લંબાવવાનો ઔપચારિક જવાબ આપ્યો નથી ત્યારે એક ઈરાની રાજદ્વારીએ ધ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે જ્યાં સુધી નાકાબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વાતચીત ફરી શરૂ થશે નહીં.
