IPL 2026 શરૂ થવાની તૈયારી વચ્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે એક મોટી ચિંતાજનક ખબર સામે આવી છે. ટીમનો મહત્વનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સમાચાર KKR માટે 440-વોલ્ટના ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે ટીમની બોલિંગ લાઇનઅપમાં મહત્વનો ભાગ હતો.
હર્ષિત રાણાને ઈજા દક્ષિણ આફ્રિકા સામે યોજાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. આ ઈજાને કારણે તે પહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો અને હવે IPL 2026 પણ રમી શકશે નહીં. તેની ગેરહાજરીથી કોલકાતા નાઈટ રાઇડર્સની બોલિંગ વધુ નબળી થવાની શક્યતા છે.
KKR મેનેજમેન્ટે હર્ષિત રાણાને IPL 2026 માટે ₹4 કરોડમાં રિટેન કર્યો હતો. ટીમને તેની પાસેથી સિઝન દરમિયાન મહત્વપૂર્ણ પ્રદર્શનની આશા હતી. પરંતુ ઈજાને કારણે હવે ટીમને તેની જગ્યાએ બીજા વિકલ્પો શોધવા પડશે.
બ્લેસિંગ મુઝારાબાની તાજેતરના T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર બોલરોમાંનો એક રહ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે કુલ 13 વિકેટ ઝડપી હતી. તેની આ પ્રભાવશાળી બોલિંગને ધ્યાનમાં રાખીને કોલકાતા ટીમ હવે તેની પાસેથી મોટી અપેક્ષા રાખી રહી છે.
આન્દ્રે રસેલની નિવૃત્તિ પછી હર્ષિત રાણાનું બહાર થવું ટીમ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને ડેથ ઓવરોમાં ટીમની બોલિંગ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટીમમાં મથિશા પથિરાના જેવા બોલર હોવા છતાં હવે બોલિંગ સંયોજન કેવી રીતે બનાવવામાં આવશે તે જોવાનું રહેશે.
આ બધા વચ્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ 14 માર્ચે પોતાની નવી જર્સીનું અનાવરણ કરવાની તૈયારીમાં છે. BCCI દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ KKR IPL 2026 માં પોતાનો પહેલો મુકાબલો 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. હવે જોવાનું રહેશે કે હર્ષિત રાણાની ગેરહાજરીમાં ટીમ કેવી રીતે પોતાનું કોમ્બિનેશન જાળવી રાખે છે. (PC: PTI/X)






