US Iran Battle : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વધારવાની ધમકી આપી છે, જેમાં દેશના પુલો અને પાવર પ્લાન્ટને નિશાન બનાવવાનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જો ઈરાન પરમાણુ વાતચીતમાં પાછા ફરવાનો ઇન્કાર કરે છે, તો આવતા અઠવાડિયે પરિસ્થિતિ ખરેખર વધુ ખરાબ થશે.
ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આવતા સપ્તાહ તેમના માટે હાલત ઘણા ખરાબ બનશે. જો તેઓ વાતચીત માટે આગળ નહીં આવે તો અમે તેમના તમામ પાવર પ્લાન્ટને નષ્ટ કરી દઈશું. અમે તેમના બધા પુલ તોડી નાખીશું. ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે હુમલા ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો ઈરાન વાતચીતમાં પાછો નહીં ફરે તો દેશ તેને કડક સજા કરશે.
ઈરાનના રક્ષાઅને મિસાઇલ બેઝ પર હુમલા
અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે બુધવારે કહ્યું હતું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિત ગ્રેટર ટુનબ ટાપુ પર ઇરાનના રક્ષા અને મિસાઇલ બેઝને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ ટાપુને હોર્મુઝમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે, જે ઇરાને 1971માં તે સમયે કબજે કર્યું હતું જ્યારે સંયુક્ત આરબ અમીરાત તેના વર્તમાન સ્વરૂપમાં ન હતું.
અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ટાપુ પર નિશાન બનાવેલા લક્ષ્યો પર 90 મિનિટ સુધી હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓએ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડી દીધી છે.
ફારસની ખાડીમાં ભારતના 7 જહાજ ફસાયા, હાલ બહાર કાઢવાની કોઇ યોજના નથી
આ પહેલા અમેરિકી સેનાએ બુધવારે કહ્યું હતું કે તેણે દિવસના સમયે ઈરાનને નિશાન બનાવીને હવાઈ હુમલાનો નવો રાઉન્ડ શરૂ કર્યો છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે ઓનલાઇન જારી કરેલા એક નિવેદનમાં આ હુમલાની શરૂઆતની પુષ્ટિ કરી છે. તાજેતરના દિવસોમાં અમેરિકાએ ઈરાન પર માત્ર રાત્રે જ હુમલા કર્યા છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, આ હુમલાનો હેતુ સૈન્ય ક્ષમતાઓને વધુ નબળી પાડવાનો છે, જેનો ઉપયોગ ઇરાની દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર હુમલો કરવા માટે કર્યો છે.
અમેરિકા-ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 ભારતીયોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ અખાતી દેશોમાં ઓછામાં ઓછા 13 ભારતીયો માર્યા ગયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 13 ભારતીયો માર્યા ગયા છે અને ત્રણ લાપતા છે.
