કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલ ખાતે ડોક્ટર અને તબીબી સ્ટાફ પર કથિત હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મામલો ઉગ્ર બન્યો છે. જેમાં છેવટે શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેએ બુધવારે સાંજે થાણે પોલીસ સમક્ષ સરેન્ડર કરતાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં આ સાથે કુલ ચાર શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે મ્હાત્રે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને આત્મસમર્પણ કર્યું હતું. તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેમને સ્થાનિક અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેમના રિમાન્ડની માંગણી કરે તેવી શક્યતા છે. આ પૂર્વે દિવસ દરમિયાન, આ હુમલાના સંબંધમાં તેમના ત્રણ સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
શિવસેનાએ સાર્વજનિક રીતે આ ઘટનાથી પોતાને અલગ કર્યાના ગણતરીના કલાકોમાં જ આ ધરપકડ થઈ છે. શિવસેના સાંસદ ડો. શ્રીકાંત એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને બચાવવામાં આવશે નહીં અને જેઓ દોષિત જણાશે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો મ્હાત્રેએ ડોક્ટરો સાથે ગેરવર્તન કર્યું હોય તો તેમણે માફી માંગવી જોઈએ.
રમેશ મ્હાત્રે એ પ્રથમ પ્રતિક્રિયા આપતું શું કહ્યું?
આ અગાઉ દિવસ દરમિયાન, કેસમાં આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ મ્હાત્રેએ પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો પરંતુ મહિલા ડોક્ટર પર હુમલો કરવાના આરોપોને નકારી કાઢ્યા હતા.
મ્હાત્રેએ જણાવ્યું કે, જે શારીરિક ઝપાઝપી થઈ તેના પર હું ખેદ વ્યક્ત કરું છું, પરંતુ હું ફરીથી સ્પષ્ટ કરું છું કે મેં મહિલા ડોક્ટર પર હાથ ઉપાડ્યો નથી. તમે સીસીટીવી (CCTV) કેમેરાના એક ચોક્કસ એંગલ (ખૂણા) થી જ આ ઘટના જોઈ રહ્યા છો.
પોતે જ્યારે પરિવારની ચિંતાઓ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર ફોન પર વાત કરી રહ્યા હોવાનો દાવો કરતા મ્હાત્રેએ કહ્યું: તેઓ ફોન પર હતા અને અમારી ફરિયાદો સાંભળતા ન હતા, તેથી મેં તેમનો હાથ હટાવ્યો હતો. અમે બાળાસાહેબના વિચારોને અનુસરીએ છીએ; અમે ક્યારેય મહિલાઓ પર હાથ ઉપાડ્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય એવું નહીં કરીએ. તેમણે ઉમેર્યું કે આ ઘટના હોસ્પિટલની આંતરિક ખામીઓને કારણે થઈ છે જેને સુધારવાની જરૂર છે.
કોર્પોરેટરે જણાવ્યું કે એક સગર્ભા મહિલાના પરિવાર તરફથી ફોન આવ્યા બાદ તેઓ હોસ્પિટલ ગયા હતા. નવજાત શિશુ સઘન સારવાર આઈસીયુ (NICU) માં પલંગ (બેડ) ઉપલબ્ધ ન હોવાને કારણે આ મહિલાને અન્યત્ર રીફર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
તેમણે દાવો કર્યો કે હોસ્પિટલ સ્ટાફે તેમના ફોનનો જવાબ આપ્યો ન હતો, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને મારે ત્યાં જવું પડ્યું હતું. મારો ફોન ન ઉપાડવામાં આવતા હું ત્યાં ગયો હતો.
મ્હાત્રેએ ડોક્ટરને સંબોધતી વખતે થયેલ તૂ તારી… મામલે પણ પોતાનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હું ડોક્ટરને ‘તૂ’ કહીને બોલાવતો હતો તેનું કારણ અહંકાર નથી, પરંતુ હું તેમને મારી દીકરી સમાન ગણું છું.
#WATCH | Dombivli, Maharashtra: On Shiv Sena Corporator allegedly assaulted medical workers, Dr Mahendra Baviskar, father of Dr Srishti Baviskar, says, “The media has witnessed the whole lot that occurred. A health care provider, a nurse, and an aunt had been attacked, and we’re demanding justice; our… pic.twitter.com/OC4rhcr5ES
— ANI (@ANI) July 8, 2026
હુમલાની ઘટના બાદ મેડિકલ સ્ટાફનું વિરોધ પ્રદર્શન
KDMC સંચાલિત શાસ્ત્રી નગર હોસ્પિટલમાં સોમવારે રાત્રે બનેલી આ ઘટના બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો આરોપ છે કે હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં પલંગ ઉપલબ્ધ ન હોવાને કારણે સગર્ભા દર્દીને અન્યત્ર સારવાર લેવાની સલાહ આપવામાં આવ્યા બાદ થયેલા વિવાદમાં મ્હાત્રે અને તેમના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો.
આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ પડ્યા છે, જેમાં મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકરે આ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે મતભેદો ક્યારેય હિંસાનું કારણ ન હોઈ શકે, જ્યારે શિવસેના (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ ક્રાઇમ ન્યૂઝ પણ વાંચો: દીકરાએ પોતાની માતાના પ્રેમીને ચાકુના 5 ઘા મારીને પતાવી દીધો, ઘટના CCTV માં કેદ
આ હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સોએ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ડોક્ટરો ગુરુવારે કાળી પટ્ટી બાંધીને સેવાઓ ચાલુ રાખશે, જ્યારે નર્સોએ ચેતવણી આપી છે કે જો જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
